મૌલિક દોશી (અમરેલી): ધંધૂકા શહેરમાં થ્યેલ કિશન ભરવાડની હત્યાને લઈને હાલ ગુજરાતભરમાં માલધારી સમાજ અને હિન્દુ સંગઠનો દ્વારા રેલીઓ યોજી ન્યાયની માગણી કરવામાં આવી રહી છે. રજૂઆત સમયે કેટલાક ઘર્ષણના બનાવો સામે આવ્યા હતા ત્યારે આ પ્રકારની સંભવિત ઘટનાને ટાળવા માટે અમરેલી જિલ્લા પોલીસ પહેલાથી જ સતર્ક બની છે પોલીસ દ્વારા કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પહેલાથી જ પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે.
હાલની પરિસ્થિતિને જોઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમરેલી જિલ્લામાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું, અમરેલી જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયની સુચના બાદ પોલીસ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. પોલીસ દ્વારા શહેરી વિસ્તારમાં ચાલતી ગતિવિધિઓ પર પોલીસ બાજનજર રાખી રહી છે. સામાન્ય રીતે ભડકાઉ ભાષણ એક બીજી કોમ વચ્ચે વૈમનસ્ય ઉભું કરે છે. ત્યારે અમરેલી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સાયબર ક્રાઇમની ટીમ પણ સોશિયલ મીડિયાની ગતિવિધિ પર પોતાની ચાંપતી નજર રાખી રહી છે જ્યારે અમરેલી સાયબરની અલગ અલગ ટીમો દ્વારા whatsapp ,instagram, facebook, ટ્વીટર, સ્નેપ ચેટ જેવા વગેરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખાસ નજર રાખી રહી છે.