ચૂંટણી ટાંણે જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ વધી જ રહી છે. પ્રદેશની નેતાગીરીના અગ્રણીઓ કોઇકને કોઇક કારણોસર વિવાદમાં સપડાઇ રહ્યા છે. ગોપાલ ઇટાલીયા અને જગમલ વાળાના વીડિયો વાઇરલ થતા પ્રદેશની નેતાગીરી અને રાષ્ટ્રીય નેતાગીરી ક્ષોભજનક સ્થિતિમાં મુકાઇ છે. ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પાયા નાખનારા કાર્યકરોને યેનકેન પ્રકારે હેરાન કરીને દૂર કરવામાં આવી રહ્યાં હોવાનો આક્ષેપ મહેસાણા અને અમરેલીના નેતાઓએ કર્યો છે.
આમ આદમી પાર્ટી ગુજરાતમાં ચાલી રહેલી આપખુદશાહી સામે અવાજ ઉઠાવવા બદલ આપ પક્ષમાંથી દૂર કરી દેવામાં આવેલા મહેસાણાના હસમુખભાઈ પટેલ અને અમરેલીના ભરતભાઈ પટોળીયાએ લોક પત્રિકા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લુચ્ચું શિયાળ છે. પોતાના લાભ માટે જ તે ધ્યાન આપે છે. આપની સ્થાપના સમયના બંધારણને નેવે મુકીને સત્તાની લાલસામાં મદ બનેલા કેજરીવાલને ગુજરાત નહીં સ્વીકારે.
આમ આદમી પાર્ટી ગુજરાતના સંગઠન અને નેતાગીરી સામે ગંભીર આક્ષેપ કરતા આપ બંધારણ રક્ષક સમિતિના અમરેલી જિલ્લાના પ્રમુખ ભરત પટોળીયાએ કહ્યું હતું કે હાલ આપ ગુજરાતને પોતાના ઇશારે ચલાવનાર ગોપાલ ઇટાલીયા રાતો-રાત કેવી રીતે મોંઘી ગાડીઓમાં ફરતો થઇ ગયો, તેની સંપત્તિ અંગે તે કેમ ખુલાશો કરતો નથી. તે કંઈ પણ કામ જ નથી કરતો તો આટલા પૈસા ક્યાંથી આવ્યા અને સૌથી ખાસ તો એ બાબત છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના બંધારણને લઇને જો કઇ પ્રશ્ન કરવામાં આવે તો ગોપાલ ઇટાલીયા સહિતના નેતાઓ કેમ દૂર ભાગે છે.
આપનું બંધારણ જાહેર કરવા ગોપાલ ઈટાલીયાને ખુલ્લો પડકાર
હસમુખભાઈ પટેલ અને ભરતભાઈ પટોળીયાએ આપ ગુજરાતના નેતા ગોપાલ ઇટાલીયાને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે આમ આદમી પાર્ટીનું બંધારણ કાર્યકરોથી છુપાવવામાં આવી રહ્યું છે. આપના બંધારણ અનુસાર એક વ્યક્તિ એક હોદ્દો અને કોઇપણ વ્યક્તિ ત્રણ વર્ષથી વધુ એક હોદ્દા પર ના રહી શકે તે સહિતના બંધારણીય નિયમોને અવગણીને અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ મનમાની કરી રહ્યાં છે.