Ravi Yog: વર્ષ 2026 એ જ્યોતિષીય દૃષ્ટિએ સૂર્યનું વર્ષ માનવામાં આવે છે. કહેવાય છે કે આ વર્ષે તમે જેટલી સૂર્યદેવની ઉપાસના કરશો, તમારું જીવન તેટલું જ તેજસ્વી, પ્રતાપી અને સફળ બનશે. સૂર્ય એટલે આત્મવિશ્વાસ, સૂર્ય એટલે પદ-પ્રતિષ્ઠા અને સૂર્ય એટલે આરોગ્ય. અને જ્યારે આ ખાસ વર્ષમાં ‘રવિ યોગ’ જેવો અત્યંત શુભ સંયોગ સર્જાતો હોય, ત્યારે તે સોનામાં સુગંધ ભળવા જેવી વાત છે.”
આગામી 8 જાન્યુઆરી 2026 ના રોજ એક અત્યંત શક્તિશાળી રવિ યોગ બની રહ્યો છે. જો તમે પણ લાંબા સમયથી પ્રગતિની રાહ જોઈ રહ્યા છો, સરકારી નોકરી કે ઉચ્ચ પદની ઈચ્છા રાખો છો અથવા જીવનમાં સુખ-સમૃદ્ધિ ઈચ્છો છો, તો આ દિવસ તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે. બપોરે 12:24 વાગ્યાથી શરૂ થતો આ યોગ ખાસ શા માટે છે? આ દિવસે કયા કાર્યો કરવાથી સૂર્યદેવની શું વિશેષ કૃપા ઉતરશે? ચાલો જાણીએ…..
રવિ એટલે સૂર્ય અને રવિ યોગમાં કરવામાં આવેલા કાર્યોનું ફળ ખૂબ જ ઝડપથી મળે છે અને તેમાં અચૂક સફળતા પ્રાપ્ત થાય છે. આ શુભ મુહૂર્તમાં સૂર્યદેવની આરાધના કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સન્માન વધે છે. આ એક એવો યોગ છે જે વ્યક્તિને ઉચ્ચ પદ, પ્રતિષ્ઠા અને સર્વોત્તમ સફળતા અપાવનારો સાબિત થાય છે.

રવિ યોગ દરમિયાન સૂર્યદેવને જળ અર્પણ કરી પૂજા-પાઠ કરવા જોઈએ. ધર્મશાસ્ત્રો મુજબ, તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી, તેમાં રોલી (કંકુ), ગોળ અને અક્ષત (ચોખા) પધરાવીને સૂર્યદેવને અર્ઘ્ય આપવો જોઈએ. જળ ચઢાવતી વખતે ‘ૐ ઘૃણિ સૂર્યાય નમઃ’ મંત્રનો જાપ કરવો અને ધૂપ-દીપ પ્રગટાવી સૂર્યનારાયણની આરાધના કરવી અત્યંત ફળદાયી માનવામાં આવે છે.
આ સમય અનેક પ્રકારના શુભ કાર્યો માટે અત્યંત અનુકૂળ છે. ઘરમાં નવી કાર લાવવી હોય, પ્રોપર્ટીનો સોદો નક્કી કરવો હોય, ગાડીનું બુકિંગ કરાવવું હોય કે પછી નવી દુકાનનું ઉદ્ઘાટન અને ગૃહ પ્રવેશ કરવો હોય.આ તમામ કાર્યો માટે રવિ યોગ સર્વોત્તમ માનવામાં આવે છે. આ સિવાય કોઈ નવો બિઝનેસ કે નવા કાર્યની શરૂઆત કરવા માટે પણ આ યોગ શ્રેષ્ઠ છે, કારણ કે આ મુહૂર્તમાં શરૂ કરેલા કાર્યોથી લાંબા સમય સુધી લાભ મળે છે.
દ્રિક પંચાંગ અનુસાર, 8 જાન્યુઆરીના રોજ સવારે ૦7:05 વાગ્યા સુધી છઠ તિથિ રહેશે અને ત્યારબાદ સપ્તમી શરૂ થશે. જો તમે આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવા માંગતા હોવ, તો રાહુકાળના સમયનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ, રાહુકાળ દરમિયાન કોઈ પણ મહત્વનું કે માંગલિક કાર્ય કરવું જોઈએ નહીં.

8 જાન્યુઆરીના રોજ રાહુકાળ બપોરે 1:46વાગ્યાથી શરૂ થઈને ૦૩:૦4 વાગ્યા સુધી રહેશે. ચંદ્ર આખો દિવસ સિંહ રાશિમાં ભ્રમણ (ગોચર) કરશે. જ્યારે સૂર્યોદય સવારે ૦7:15 વાગ્યે થશે અને સૂર્યાસ્ત સાંજે ૦5:41 વાગ્યે થશે.
બીજી તરફ, ભદ્રા કાળને અશુભ સમય માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન લગ્ન, મુંડન, નામકરણ અથવા નવા રોકાણ જેવા મહત્ત્વના કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ. શાસ્ત્રો મુજબ, ભદ્રામાં શરૂ કરવામાં આવેલા કામોમાં અવરોધો અને વિઘ્નો આવવાની પૂરેપૂરી શક્યતા રહે છે.