Middle Class: નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે કેન્દ્રીય બજેટ 2026-27 રજૂ કર્યું છે. આ બજેટમાં ખેડૂતો અને યુવાઓ પર ભાર મૂકવામાં આવ્યો હોવાનો દાવો કરાયો છે. જોકે, ટેક્સમાં રાહતની આશા રાખતા મધ્યમ વર્ગને આ વર્ષે પણ નિરાશા જ સાંપડી છે.

ઈનકમ ટેક્સ સ્લેબમાં ન મળ્યો કોઈ ફેરફાર
મધ્યમ વર્ગને સૌથી મોટી આશા આવકવેરામાં છૂટ વધવાની હતી. એવી અટકળો હતી કે નવી ટેક્સ રિજીમ હેઠળ મર્યાદા વધારવામાં આવશે. સ્ટાન્ડર્ડ ડિડક્શન રૂ. 75,000 થી વધારીને રૂ. 1 લાખ કરવાની પણ માંગ હતી. પરંતુ સરકારે ટેક્સ સ્લેબ કે સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી. આ કારણે પગારદાર વર્ગના ખિસ્સા પરનો બોજ યથાવત રહ્યો છે.
રોકાણ પર છૂટની આશા પણ અધૂરી
નવી ટેક્સ સિસ્ટમને વધુ આકર્ષક બનાવવા માટે PPF અને NPS જેવા રોકાણો પર છૂટની અપેક્ષા હતી. મધ્યમ વર્ગ ઈચ્છતો હતો કે નવી રિજીમમાં પણ બચત યોજનાઓ પર રાહત મળે. જોકે, બજેટ 2026માં આ મોરચે કોઈ નવી રાહત આપવામાં આવી નથી. બચત યોજનાઓ પર મળતી છૂટ હજુ પણ માત્ર જૂની ટેક્સ રિજીમ સુધી જ સીમિત રાખવામાં આવી છે.
ખેડૂતો અને સિનિયર સિટિઝન પણ નિરાશ
ખેડૂતોને આશા હતી કે પીએમ કિસાન સન્માન નિધિ રૂ. 6,000 થી વધારીને રૂ. 12,000 કરાશે. પરંતુ આ રકમમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. બીજી તરફ, વરિષ્ઠ નાગરિકો રેલવે ભાડામાં છૂટ અને વીમા યોજનાઓમાં રાહતની આશા રાખતા હતા. સરકારે નવા રેલ કોરિડોરની જાહેરાત તો કરી છે, પરંતુ સિનિયર સિટિઝન માટે કોઈ અલગ મોટી જાહેરાત કરી નથી.
શેરબજારના રોકાણકારોને ટેક્સનો ફટકો
શેરબજારના ટ્રેડર્સ અને રોકાણકારોને આ બજેટથી મોટો ઝટકો લાગ્યો છે. LTCG અને STCG ટેક્સમાં ઘટાડો કરવાની માંગ પૂરી થઈ નથી. ઉલટું, ફ્યુચર અને ઓપ્શન (F&O) ટ્રેડિંગ પર સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) વધારી દેવામાં આવ્યો છે. ટ્રાન્ઝેક્શન ચાર્જ વધતા સામાન્ય ટ્રેડર્સનો ખર્ચ પણ વધી જશે. આમ, આ બજેટ મધ્યમ વર્ગ માટે રાહત ઓછી અને નિરાશા વધુ લાવ્યું છે.
એટલે કે એમ કહી શકાય કે, બજેટમાં ડિજિટલ ઈકોનોમી પર ભાર છે, પણ સામાન્ય કરદાતાઓના ખિસ્સા માટે ખાસ કંઈ નથી.