ભાણવડ તાલુકાનું લાલપરડા ગામ આમ તો તમે નામ નહીં સાંભળ્યું હોય. પરંતુ આજે આ જ ગામના એક ખેડૂત પુત્રની વાત કરવી છે કે જેમણે હાલમાં જ Ph.D. ની ડિગ્રી લઈ પરિવાર તેમજ ગામનું નામ રોશન કર્યું છે. આ યુવાનનું નામ એટલે કે રમેશભાઈ પિપરોતર. ભાણવડ ખાતે નવસર્જન એકેડમી ચલાવતા રમેશભાઈ ભાણવડ પંથક માટે કોઈ નવું નામ નથી. આમ તો તેમની સફળતાની ગાથા ખુબ લાંબી છે, પરંતુ હાલમાં જ તેમની યશકલગીમાં એક પીછુ ઉમેરાયું છે અને એ એટલે કે હવે લોકો કહેશે ડોક્ટર રમેશ પિપરોતર.
લાલપરડા ગામમાં આ ખેડૂત પરિવાર રહે. રમેશભાઈ અને એમનો નાનો ભાઈ નિલેશ ભાઈ. ખેતીવાડી સાથે સંકળાયેલ પિતાજીએ કદાચ રમેશભાઈને ડોક્ટર થતા જોવાની ખુબ ઈચ્છા હશે. પરંતુ રમેશભાઈના પિતાજી હાલમાં સ્વર્ગવાસ થઈ ચૂક્યા છે. રમેશભાઈએ પ્રાથમિક શિક્ષણ ગામની સરકારી શાળામાં લીધું. પછી 8 થી 12 જુનાગઢ ભણ્યા, કોલેજ રાજકોટ કરી અને માસ્ટર અને પી.એચ.ડી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાંથી કર્યું. કોમર્સમાં રમેશભાઈએ Ph.D કરીને હવે ડોક્ટર બની ગયા છે. પરંતુ એમનો સંઘર્ષ અનોખો છે.
કોલેજ સમયથી જ નોકરી કરતાં કરતાં રમેશભાઈ ભણ્યા. રાજકોટમાં કુરિયરમાં ગોડાઉનમાં તેઓ કામ કરતા. માલ સામાન પેક કરવો, કોમ્પ્યુટર વર્ક કરવું અને સાથે સાથે ભણવું. પીએચડી દરમિયાન ધ્રોલ કોલેજમાં તેઓ પ્રોફેસર તરીકે પણ કામ કર્યું. ત્યારબાદ હેરમા એકેડમી સતાપરમાં આચાર્ય તરીકે નોકરી કરી. પરંતુ રમેશભાઈને હંમેશા એવું થયું કે મારો જન્મ નોકરી કરવા માટે નથી થયો અને પછી ભાણવડમાં એક નાનકડો ક્લાસિસ ખોલ્યો. સરસ રિસપોન્સ મળતા પછી હોસ્ટેલ ખોલી અને પછી તરજ જ નવસર્જન એડેકમી ખોલી.
આ એકેડેમી શરૂ કરી એના પણ 5 વર્ષના વ્હાણા વીતી ગયા અને હાલમાં સરસ રીતે આ એકેડમી ચાલી રહી છે. સાથે સાથે જ નવસર્જન સેવા ફાઉન્ડેશન પણ 2 વર્ષથી કાર્યરત છે. આ ફાઉન્ડેશનમાં અલગ અલગ સેવાકીય પવૃતિ કરવામાં આવે છે. જેમ કે શાળા શરૂ થઈ ત્યારથી અનાથ દીકરીને શાળા અને હોસ્ટેલ ફી માફી આપવામાં આવે છે. કોરોના દરમિયાન મોત થયેલા પિતાની દીકરીને 50 ટકા ફી માફી તેમજ વ્યસ્ન મૂક્ત પરિવારની દીકરીને પણ ફીમાં માફી આપવામાં આવી રહી છે. કોરોના સમયે પણ આ એકેડેમીના દ્વાર ખુલ્લા હતા અને સરકારને ક્વોરેન્ટાઈન તરીકે સેવા આપી હતી.