Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ‘રોશન સોઢી’નું પાત્ર ભજવનાર અભિનેત્રીએ શોના નિર્માતા અસિત મોદી તેમજ શો સાથે જોડાયેલા કેટલાક સભ્યો પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. અભિનેત્રીએ આટલા લાંબા સમય સુધી આ મામલે ચુપ રહેવાનું કારણ પણ જાહેર કર્યું હતું.
નિર્માતાઓ પર આરોપ લગાવતા અભિનેત્રીએ પોલીસમાં લેખિત ફરિયાદ કરી હતી. હવે યૌન ઉત્પીડનના મામલામાં મુંબઈ પોલીસનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે અભિનેત્રીની ફરિયાદ નોંધવાના સમાચારને સમર્થન આપ્યું છે અને સાથે જ કહ્યું છે કે તેમણે આ મામલે તપાસ શરૂ કરી છે.
પોલીસે જાતીય શોષણના કેસમાં તપાસ શરૂ કરી
ન્યૂઝ એજન્સી ANIએ મુંબઈ પોલીસને ટાંકીને કહ્યું કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ અભિનેત્રીએ નિર્માતા વિરુદ્ધ જાતીય સતામણીનો આરોપ લગાવતા લેખિત ફરિયાદ નોંધાવી છે. તેણીની ફરિયાદ મુજબ નિર્માતા અસિત મોદી તેમજ ક્રૂ મેમ્બર દ્વારા તેણીનું યૌન શોષણ કરવામાં આવ્યું છે. આ મામલે એફઆઈઆર નોંધવાની બાકી છે. અમે તપાસ શરૂ કરી દીધી છે અને પોલીસ ટૂંક સમયમાં આ મામલામાં સામેલ તમામ લોકોનું નિવેદન નોંધશે.
અસિત મોદીએ કહ્યું- એક્ટ્રેસ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરશે
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા અસિત મોદીએ તેમને ખોટા ગણાવ્યા. નિર્માતાએ જાતીય સતામણીના મામલામાં પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું કે, ‘તે મને અને શો બંનેને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે, અમે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું, કારણ કે અમે તેનો કરાર સમાપ્ત કર્યો હતો, તેથી તે અમારા પર હુમલો કરી રહી છે. ‘
આ સિવાય શોમાં આત્મારામ ભીડેનું પાત્ર ભજવતા અભિનેતા મંદાર ચંદાવરકરે પણ અભિનેત્રી દ્વારા નિર્માતાઓ પર લગાવેલા આરોપો પર પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું હતું કે મને ખબર નથી કે તેણે આવું કેમ કર્યું. મને એ પણ ખબર નથી કે તેમની વચ્ચે શું છે.