હાલમાં એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે કે સુરેન્દ્રનગર જિલ્લાના હાઇવે પર અવારનવાર સીએનજી વાહનોમાં ભયાવહ આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે અને ક્યારેક આવી ગોઝારી ઘટનામાં મોટે પાયે જાનહાનિ પણ થતી હોય છે. ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નજીક પેસેન્જરો અને વિદ્યાર્થીઓ ભરેલી એસટી બસમાં ભયંકર આગ લાગતાં મોટી અફરાતફરી મચી હતી. બસમાં લાગેલી આ ઘટનામાં બસમાં સવાર 20થી વધુ પેસેન્જરો અને વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો એ આપણા સૌ માટે એક સારા સમાચાર કહી શકાય.
આ સાથે જ માહિતી મળી રહી છે કે વધુમાં આ બસ લીંબડીના નાની કઠેચીથી લીંબડી આવી રહી હતી ત્યારે આ ગોઝારો બનાવ બન્યો હતો. બસમાં શોર્ટસર્કિટ સર્જાતાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. બસમાં લાગેલી આ ભયાવહ આગની ઘટનામાં ડ્રાઇવર અને કંડક્ટર સહિત બસમાં સવાર 20થી વધુ પેસેન્જરો અને વિદ્યાર્થીઓનો ચમત્કારિક બચાવ થતાં બધાએ રાહતનો શ્વાસ લીધો હતો. પળવારમાં જ એસટી બસ બળીને ખાખ થઇ ગઇ હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.