થોડા સમય પહેલાની જ વાત છે કે અમદાવાદ ગોતામાં પણ એક પોલીસ કોન્સ્ટેબલે પરિવાર સાથે સામૂહિક આપઘાત કર્યો હતો અને ફરી વધુ એક પોલીસ કર્મચારીના આપઘાતથી પોલીસ બેડામાં શોક ફેલાયો છે. આ આત્મહત્યા પાછળ પારિવારિક સમસ્યા છે કે અન્ય કોઈ કારણ તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. હાલમાં મળતી માહિતી પ્રમાણે રાણીપ વિસ્તારમાં જૂના સ્વામિનારાયણ વાસમાં રહેતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ ભાવનાબેન ડાભીએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
વિગતો સામે આવી રહી છે કે હજુ સુધી આપઘાતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી. પરંતુ ગુરુવારની સાંજે ભાવનાબેન અને તેમના પતિ ભદ્રેશભાઈ ઘરમાં જ હાજર હતા. આ દરમિયાન ભદ્રેશભાઈ મકાનના અંદરના બેડરૂમમાં સૂતા હતા ક્યારે કોઈને ખબર ન રહી અને પત્ની ભાવનાબેને ડ્રોઈંગ રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. લગભગ સાંજે 7:00 વાગે ભદ્રેશભાઈ રૂમમાંથી બહાર આવ્યા ત્યારે ભાવનાબેનને આત્મહત્યા કરેલી હાલતમાં જોતાં જ પગ નીચેથી જમીન ખસી ગઈ હતી અને તરત જ તેમણે પોલીસને જાણ કરી હતી. પાંચ દિવસ પહેલા જ આ પતિ-પત્ની પાંચ દિવસથી રજા પર હતા અને ત્યાર બાદ ગુરુવારે જ નોકરી પર હાજર થયા હતા.
ઉ્લલેખનીય છે કે નોકરીથી પરત આવીને ભાવનાબેને આપઘાત કર્યો હતો. જેથી રાણીપ પોલીસે આ બંને પતિ-પત્ની વચ્ચે ક્યાં કારણસર કંકાસ ચાલી રહ્યો હતો તે મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે. મહિલા પોલીસ કોન્સ્ટેબલ આપઘાત કેસમાં રાણીપ પોલીસે અકસ્માત મોત નોંધીને તેમના પતિ ભદ્રેશ ડાભીનું નિવેદન લઈને આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. ભાવનાબેન ડાભી વિશે વાત કરીએ તો તેઓ 2016માં એલઆરડી તરીકે ભરતી થયા હતા. જ્યારે હાલમાં શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા. દોઢ વર્ષ પહેલા જ ભાવનાબેનના લગ્ન વાડજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભદ્રેશભાઈ ડાભી સાથે થયા હતા. દોઢ વર્ષના લગ્ન જીવન દરમિયાન બંને પતિ પત્ની વચ્ચે નાની મોટી બાબતે ઘરકંકાસ ચાલતો હતો. એવી પણ માહિતી મળી રહી છે. શંકા છે કે એ કારણ હોઈ શકે કે આપઘાત કર્યો હોય. જો કે હજુ કોઈ નક્કર કારણ બહાર આવ્યું નથી.