ભાજપે 2022ની વિધાનસભા ચૂંટણી માટે પોતાના 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે અને જેમાં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મેદાને ઉતાર્યા છે. ત્યારે આવો જાણીએ કે આ બેઠકનો આખો ઈતિહાસ શું રહ્યો છે. કેવી વિશેષતા છે અને કેટલા મતદારો છે. અમદાવાદ શહેરની ઘાટલોડીયા વિધાનસભા બેઠકમાં પાટીદારોની વસ્તી વધુ છે. આથી મુખ્ય બે પક્ષો ભાજપ અને કોંગ્રેસે વિધાનસભાની 2012 અને 2017ની ચૂંટણીઓમાં પાટીદાર ઉમેદવારો ઉતર્યા હતા. આ ઉપરાંત અહીં રબારી-ભરવાડ, ઠાકોર જેવી જ્ઞાતિ પણ જોવા મળે છે. ઘાટલોડિયા વિસ્તારમાં 53 ટકા પુરુષો અને 47 ટકા મહિલાઓ છે. અહીં શિક્ષણનું પ્રમાણ 83 ટકા છે. જેમાં પુરુષો અને મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 85 અને 80 ટકા છે. 2017ની વિધાનસભાની ચૂંટણી પ્રમાણે અહીં કુલ 03,52,340 જેટલા મતદારો હતા. 2018 પ્રમાણેના કુલ મતદારો 3,57,367 સામે આવ્યા હતા. જેમાં, 1,83,823 પુરુષ મતદારો અને 1,73,542 સ્ત્રી મતદારો નોંધાયા હતા.
2008માં ઘાટલોડીયા વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક ગાંધીનગર લોકસભા મતક્ષેત્ર અંતર્ગત આવે છે. એટલે વર્તમાનમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું મતક્ષેત્ર છે. ઘાટલોડિયા પશ્ચિમ અમદાવાદમાં આવેલ વિકસિત વિસ્તાર ગણાય છે. ઘાટલોડિયા વિસ્તારમાં પ્રભાત ચોક, રન્નાપાર્ક, સાયોના સીટી, ચાણક્યપુરી ઘાટલોડિયા ગામ વગેરે આવેલા છે. જ્યારે ઘાટલોડિયા વિધાનસભા બેઠકમાં અમદાવાદ શહેરના ત્રાગડ, ઘાટલોડિયા અને મેમનગર ગામનો સમાવેશ થાય છે. અમદાવાદ જિલ્લાના લપકામણ, લીલાપુર, ખોડીયાર નગર, છારોડી, જગતપુર, હેબતપુર, શીલજ, ચેનપુર, ઘુમા, સોલા, બોડકદેવ, આંબલી, ગોતા, થલતેજ અને બોપલનો સમાવેશ થાય છે.
આ બેઠક અસ્તિત્વમાં આવી ત્યારથી અત્યાર સુધીમાં બે વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ છે. જેમાં 2012માં તે સમયના ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને આજના વડાપ્રધાનના વિશ્વાસુ એવા આનંદીબેન પટેલ ભાજપ પક્ષ તરફથી ઉમેદવાર તરીકે ઊભા રહ્યા હતા. જેમનો કોંગ્રેસના ઉમેદવાર રમેશ પટેલ સામે 1,10,395 વોટથી ભવ્ય વિજય થયો હતો. ત્યારબાદ 2017ની ચૂંટણીમાં ભુપેન્દ્ર પટેલ કોંગ્રેસના શશીકાંત પટેલને પણ 1.15 લાખ કરતા વધુ મતોથી જીતીને કોંગ્રેસને કારમો પરાજય આપ્યો હતો. એટલે કે જ્યારથી આ બેઠક બની છે, તે ભાજપના કબ્જામાં છે. 2012ની ચૂંટણીમાં ભાજપનું વોટ શેરિંગ 74.61 ટકા રહ્યું હતું. જે 2017માં ઘટીને 72.5 ટકા નોંધાયું હતું. આ ઉપરાંત, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ આ વિસ્તારમાં પલડુ ભાજપના પક્ષે જ ભારે રહ્યું છે.
ઘાટલોડિયા વિસ્તારની સમૃદ્ધ નગર વિસ્તારમાં ગણતરી કરાય છે. આ વિસ્તારમાં મોટા પાયે ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો રહે છે. આ વિસ્તારમાં રહેતા લોકો શાંતિ અને સમૃદ્ધિમાં માનનારા છે. જે સરકાર તેમને આ તકો પૂરી પાડશે તેમને તેઓ વોટ આપશે. આ વિસ્તારમાં સરકારી ટ્રાન્સપોર્ટેશન, શાળાઓ, બેંક, હોસ્પિટલ, માર્કેટ, આર.સી.સી.રોડ, પાણી, સ્વચ્છતા, અર્બન હેલ્થ સેન્ટર વગેરે વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે.
ઘાટલોડિયા બેઠકે ગુજરાતને બે મુખ્ય પ્રધાન આપ્યા છે. બંને મુખ્ય પ્રધાન ભારતીય જનતા પાર્ટીથી રહ્યા છે. સૌપ્રથમ 2014માં લોકસભાની ચૂંટણીઓમાં ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા તેમનું પદ આનંદીબેન પટેલે સંભાળ્યું હતું, પરંતુ 2016માં પાટીદાર અનામત આંદોલને તેમની ખુરશી છીનવી લીધી હતી. પાટીદાર અનામત આંદોલનનું મુખ્ય સેન્ટર પણ ઘાટલોડિયા જ રહ્યું હતું. વિજય રૂપાણીના રાજીનામા બાદ મુખ્યપ્રધાનનું પદ સાંભળનાર વર્તમાન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ ઘાટલોડિયા બેઠક પરથી જ ચૂંટાઈને આવ્યા છે.