આ જમાનો એવો છે કે જ્યાં માણસ સ્વાર્થ વગર કોઈને પાણીનું એક ટીપું આપતા પણ અચકાય છે ત્યારે આ મહાન માણસે 41 વખત તો બ્લડ આપી દીધું છે. ન માત્ર બ્લડ આપે છે પરંતુ કોઈને જરૂર હોય તો બ્લડનુ અરેન્જ પણ કરી આપે છે. ન જાણે કેટલા બ્લડ કેમ્પ કરીને તેણે અનેક લોકોના જીવ બચાવ્યા છે. આ મહાન માણસનું નામ એટલે રબારી સમાજના અગ્રણી જયંતિભાઈ દેસાઈ. આ દેસાઈની દરિયાદિલી એવી છે કે જેઓનો આજે 52મો જન્મદિવસ છે અને તેઓ 41મી વખત બ્લડ ડોનેશન કર્યું છે. 4-5 મિત્રો સાથે જઈને તેઓએ સિવિલ અસારવા અમદાવાદ ખાતે બ્લડ ડોનેશન કર્યું હતું અને ત્યાં જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. તેઓ આજના દિવસે પણ લોકોને એ જ સંદેશ આપવા માગે છે કે થાય એટલી સેવા કરો અને બીજાને મદદ કરો. આ દેશને સારા લોકોની જરૂર છે.
આ સિવાય પણ જો જયંતિભાઈ દેસાઈ વિશે વાત કરીએ તો…જ્યારે ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હત્યો ત્યારે વિવિધ બ્લડ બેંકોને રક્ત એકત્ર કરવામાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. તેવા સમયે અમદાવાદના અગ્રણીએ રક્તદાન કરવા અનોખી પહેલ શરુ કરી હતી. લોહી વગર કોઈ દર્દી મુત્યુ ન પામે તે માટે આયોજન હાથ ધરાયું હતું. ખાસ કરીને કોરોના વેક્સીન લીધા બાદ એક મહિના સુધી રક્તદાન નથી કરી શકાતું. ત્યારે કોરોના વેક્સીન લીધા પહેલા યુવાનો રક્તદાન કરે તેવી પણ અપીલ કરી હતી ગુજરાતના સ્થાપના દિવસ પહેલી મેથી રાજ્યના અનેક જિલ્લામાં ૧૮થી મોટી ઉમરના યુવાનો માટે કોરોના વેક્સીન આપવાની શરૂઆત કરાઈ હતી.
તેવા યુવા રક્તદાતાઓ કોરોના વેક્સીન લે તે પહેલા રક્તદાન કરે તેવી અપીલ કરવામાં આવી હતી. કારણ કે કોરોના વેક્સીન લીધા બાદ એક મહિના સુધી રક્તદાન નથી કરી શકાતું. આવા તો જયંતિભાઈના અનેક દાખલા છે કે જે આપીએ એટલા ઓછા પડે. કારણ કે ન માત્ર જયંતિભાઈ પરંતુ તેમણે પોતાના રબારી સમાજને પણ આ માટે ખુબ પ્રોત્સાહન આપ્યું અને આજે રબારી સમાજની દીકરીઓ પણ લોહીનું દાન કરતી થઈ છે. આનાથી મોટી ઉપલબ્ધિ બીજી કઈ હોઈ શકે છે.
આ અંગે અમદાવાદના અગ્રણી જયંતિભાઈ દેસાઈ (અલોડા)એ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં બ્લડની અછત છે ત્યારે સરકારી ગાઈડ લાઈન મુજબ કોરોના વેક્સીન લીધા બાદ એક મહિના સુધી રક્તદાન કરી શકાતું નથી. આ વાતને ધ્યાનમાં રાખીને દરેક મિત્રો અને જે રક્તદાન કરતા હોય તેને વિનતી છે કે વેક્સીન લેતા પહેલા રક્તદાન કરીને કોઈનો જીવ બચાવવા પ્રયાસ કરીએ. આવતીકાલે હું પણ વેક્સીન લેવા જવાનો છું તે પહેલા આજે મેં રક્તદાન કરીને મારી ફરજ અદા કરી છે. હું દરેક લોકોને અપીલ કરું છુ કે રક્તદાન કરે અને કોરોના વેક્સીન પણ લગાવે.
અમદાવાદ બી.જે. મેડીકલ કોલેજ ખાતે આવેલી બ્લડ બેન્કના ડો.મમતાબેન શાહે જણાવેલ કે, આ કોરોના મહામારીમાં લોહી એકત્ર કરવું ખુબ જ મુશ્કેલી ભર્યું રહ્યું છે. પરતું કેટલાક રકતદાતાઓ, સંસ્થા, એન.જી.ઓ. સહીતના સહયોગથી અમે ઘણું લોહી એકત્ર કરી શક્યા છીએ. અને આ રક્ત અમે જરૂરિયાતવાળા દર્દીને પહોચાડ્યું છે. હવે અમારી સામે નવી ચેલેન્જ પ્લાજમા એકત્ર કરવાની છે. અમારી પાસે પ્લાજમા ખુબ જ ઓછુ છે. જેથી લોકો પ્લાજમા માટે આગળ આવે તેવી અમારી અપીલ છે.
અમદાવાદ સીવીલ હોસ્પિટલની બ્લડ બેંકના ડો. તારકભાઈ પટેલ જણાવેલ કે, કોરોના સમયમાં દરેક યુવા લોકોને નમ્ર અપીલ છે કે, જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં રક્તદાન માટે આગળ આવે. જેથી થેલેસ્મિયાના દર્દી, સગર્ભાઓ સહિતના દર્દીઓને રક્ત પહોચી શકે. જયંતિભાઈ દેસાઈએ જણાવેલ કે, કોરોના મહામારીમાં રક્તદાન માટે મોટા કેમ્પો કરવા શક્ય નહોતો. તેવા સમયે અમદાવાદની સોસાયટીઓ રક્તદાન માટે આગળ આવે તો મોટી રાહત થઈ શકે તેમ છે.
જે તે સોસાયટીઓ તરફથી માત્ર પાંચથી આઠ બોટલ રકત એકત્ર થાય તે જરૂરી છે. કેમ કે ટીપે ટીપે સરોવર ભરાય તેવી રીતે આપણે બ્લડ એકત્ર કરીને અનેક દર્દીઓના જીવ બચાવી શકીએ તેમ છીએ. ત્યારે આ કામ જયંતિભાઈએ કરી બતાવ્યું હતું અને અનેક લોકોના જીવ બચાવ્યા હતા.
Budget 2023: બજેટથી શેરબજારમાં ધમધમાટ, આ શેરોએ બતાવી તેજી, જો કે અદાણીને તો પીલુડાં જ પાડવાના રહ્યાં
અમદાવાદના જયંતિભાઈ દેસાઈ (અલોડા) આમતો અવાર-નવાર બ્લડ બેંકને સાથે રાખીને રક્તદાન કેમ્પનું આયોજન કરે છે. અને જરૂરિયાતવાળા દર્દીઓને સમયસર રક્ત મળી રહે તે તેનો પ્રયાસ રહે છે. આ સાથે સાથે રક્તદાન માટે લોકોમાં જાગૃતિ લાવવા ખુદ જયંતિભાઈ દેસાઈ પણ રક્તદાન કરે છે. ત્યારે તેઓએ પણ 40 વખત રક્તદાન કર્યું છે અને હજુ પણ તેઓને 50નો આંકડો પાર કરવો છે.