ભૂપેન્દ્રભાઈ પટેલ ફરી ગુજરાતના મુખ્યમંત્રી બનશે. ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાય આવ્યા છે. કમલમમાં મળેલી ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય નિરીક્ષકોની ઉપસ્થિતિમાં બેઠક યોજવામાં આવી હતી અને આ બેઠકમાં રાજનાથસિંહ, યેદિયુરપ્પા, અર્જુન મુંડા ઉપસ્થિત રહ્યા હતા તો સાથે સાથે ભાજપના તમામ 156 ધારાસભ્યો રહ્યા હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આજે શનિવારે ગુજરાત વિધાનસભાગૃહના નેતાની ચૂંટણી માટે ભાજપના સભ્યોની એક બેઠક પ્રદેશ કાર્યાલય કમલમ પર યોજવામાં આવી હતી, જેમાં ભાજપ હાઇકમાન્ડે નિરીક્ષક તરીકે રાજનાથ સિંહ સહિત 3 નેતાને મોકલી આપ્યા છે. તેમની હાજરીમાં ધારાસભ્ય દળની બેઠક યોજવામાં આવી હતી. એમાં ભૂપેન્દ્ર પટેલની ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે. તેમના નામનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો. ધારાસભ્ય દળની બેઠક માટે ભાજપના વિજેતા ધારાસભ્યો કમલમ પહોંચ્યા હતાં. કનુ દેસાઈએ પ્રસ્તાવ મૂકયો હતો, જેને પૂર્ણેશ મોદી, શંકર ચૌધરી, મનીષાબેન વકીલ અને રમણ પાટકરે ટેકો આપ્યો હતો. અને હવે ફાઈનલ કરવામાં આવ્યું કે નવા CM તરીકે પણ ભૂપેન્દ્ર પટેલને જ રાખવામાં આવશે.
શુક્રવારની વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજભવનમાં તેમના કેબિનેટ મંત્રીઓ સાથે રાજ્યપાલને રાજીનામું આપ્યું હતું. તો સરકાર રચવાનો દાવો કરીને મુખ્યમંત્રીની શપથવિધિ માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે રાજ્યપાલ પાસે શનિવારે બપોરે 2 વાગ્યે મળવાનો સમય પણ માગ્યો હોવાની વાત સામે આવી હતી. હવે બધા જ ભેગા મળીને નવી સરકારની રચનાની કવાયત ચાલી રહી છે. સોમવારે 12મી ડિસેમ્બરે ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ શપથ લેશે.