રાજયમાં વિધાન સભાની ચૂંટણીનું એલાન થઈ ચૂકયું છે. તાજેતરમાં જ ચૂંટણી પંચે તરીખો પણ જાહેર કરી દીધી છે. ગુજરાતની રાજનીતિમાં ગરમાવો છે. દરેક પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે. આ વચ્ચે ઘણાં નેતાઓએ પાર્ટીઓ પણ બદલી છે. હવે કોંગ્રેસના વધુ એક નેતાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હોવાના સમાચાર આવ્યા છે.
મળતી માહિતી મુજબ સામ પિત્રોડાના નજીકના ગણાતા એવા હિમાંશુ વ્યાસે કોંગ્રેસમાંથી પોતાનું રાજીનામું આપી દીધું છે. તેઓ AICCના સેક્રેટરી પદે હતા જેમાંથી હવે રાજીનામું આપી દીધું હોવાના સમાચાર આવતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. એક તરફ હજું કોંગ્રેસ દ્વારા ગતમોડી સાંજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. આ બાદ જ હિમાંશુ વ્યાસનું કોંગ્રેસના નવા સંગઠનથી નારાજ થઈને રાજીનામું આપ્યુું હોવાના સમાચાર છે.
હિમાંશુ વ્યાસ અંગે વિગતે વાત કરીએ તો તેઓ સામ પિત્રોડાના નજીકના છે. આ સાથે તેમના રાજનીતિક ઇતિહાસ પર નજર કરીએ તો તેઓ કોંગ્રેસ દ્વારા બે વખત સુરેન્દ્રનગરની વઢવાણ બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા છે પરંતુ બને વખત તેઓને સફળતા મળી નથી.