ગીર ગાય અને ગાયનું દૂધનું મહત્વ કંઈક અનેરું જ છે. ત્યારે આજે જામનગરના એવા ઘર વિશે વાત કરવી છે કે જે કપલ સરકારી નોકરી તો કરી રહ્યું છે પણ સાથે સાથે ગીર ગાયના દૂધ અને ઘીનો પણ બિઝનેસ કરે છે. લોકો ભેળસેળ વાળું ઘી અને દૂધ શરીરમાં ન નાખે એ માટે થઈને આ પરિવાર છેલ્લા 10 વર્ષથી મહેનત કરી રહ્યો છે. રાજેશભાઈ આહિર અને તેમના પત્ની કોમલબેન આહિરનું મૂળ વતન અલિયાબાડા છે. પરંતુ હાલમાં તેઓ જામનગરમાં લાલવાણી હાપા રોડ પર રહીને પોતાનો બિઝનેસ આગળ વધારી રહ્યા છે.
રાજેશભાઈ છેલ્લા 10 વર્ષથી જામનગરમાં સરકારી ડેપોમાં ટ્રાફિક કંટ્રોલર તરીકે ફરજ નિભાવી રહ્યા છે અને પત્ની કોમલબેન 3 વર્ષથી પોલીસ કોન્સ્ટેબલ તરીકે જામનગરમાં દેશ સેવા પણ કરી રહ્યાં છે. રાજેશભાઈ વાત કરતાં જણાવે છે કે તેમનો પશુપાલક તરીકેનો ધંધો જૂનો 10 વર્ષનો છે. ગીર ગાયના દૂધ અને ઘી ખાવાનો શોખ તેમને પહેલાથી જ છે. તેઓ પહેલા ગામની ગૌશાળામાં સેવા આપતા હતા, પછી ધીરે ધીરે શોખમાં પરિવર્તન થયું. ત્યારે રાજેશભાઈએ 2-3 ગીર ગાય લીધી અને આજુબાજુના લોકોને ઘી તેમજ દૂધ આપ્યું.
હવે બન્યું એવું કે ધીરે ધીરે લોકોમાં ગીર ગાયના દૂધની અને ઘીની માંગ વધવા લાગી. કારણ કે હાલના સમયમાં દરેક જગ્યાએ ભેળસેળ વાળું જ ઘી અને દૂધ મળી રહ્યું છે એવામાં જો કોઈને ગીર ગાયનું ચોખ્ખું દૂધ-ઘી મળે તો કોને ન ગમે. આયુર્વેદિકની દ્રષ્ટિએ પણ માંગ વધારે છે, ત્યારે હવે તો રાજેશભાઈ અને તેમના નાનાભાઈ આશિષભાઈ આ બિઝનેસને આગળ વધારી રહ્યા છે.
હાલમાં રાજેશભાઈ સવારે અને સાંજે એમ બન્ને સમયે દૂધ ભરે છે. તેમની પાસે હાલમાં 22 જેટલી ગીર ગાયો છે. સવારે અને સાંજે 50-50 લિટર દૂધ ભરવામાં આવે છે. જામનગરમાં જ આ દૂધ 70 રૂપિયાના ભાવે બન્ને સમયે વેચાઈ જાય છે. તો વળી ઘીના ભાવ 1600-1700 રાખવામાં આવ્યા છે. જો કે જામનગરથી ઘી અમદાવાદ મોકલવામાં આવે તો 2000 રૂપિયા સુધીનો ભાવ પણ આવી જતો હોય છે.
આ પશુપાલક તરીકે રાજેશભાઈની ખ્યાતિ ખુબ જ વિકસી રહી છે. 2018માં તરણેતરના મેળામાં તેમના સાંઢનો પહેલો નંબર આવ્યો હતો અને 2019માં દ્વારકા અને જામનગરમાં શ્રેષ્ઠ પશુપાલક તરીકે પણ મુખ્યમંત્રીના હાથે એમનું સન્માન થઈ ચૂક્યું છે. તમે પણ જો ગીર ગાયના દૂધ ઘીનો સ્વાદ ચાખવા ઈચ્છતા હોય તો આ નંબર ( 9998929326 ) પર રાજેશભાઈનો સંપર્ક કરી શકો છો.