અરબી સમુદ્રમાં સક્રિય થયેલા વાવાઝોડાને બાંગ્લાદેશે બિપરજોય નામ આપ્યું છે. લેટેસ્ટ અપડેટ પ્રમાણે, ચાર કલાકમાં વાવાઝોડું ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. 24 કલાકમાં વાવાઝોડું વધુ મજબૂત બનશે. હવામાન વિભાગ સતત આ વાવાઝોડાનું મોનિટરિંગ કરી રહ્યું છે.
બીપરજોય વાવાઝોડું અરબી મધ્ય સમુદ્રમાં સક્રિય છે. હાલ તે પશ્ચિમ-દક્ષિણ ગોવાથી 920 કિલોમીટર તો દક્ષિણ-પશ્ચિમ મુંબઈથી 1050 કિલોમીટર, દક્ષિણ-પશ્ચિમ પોરબંદરથી 1130 કિ.મી અને કરાચીથી 1430 કિલોમીટર દૂર છે.
હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે. આ ઉપરાંત રાજ્યના તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. તેનો અર્થ એવો થાય છે કે વાવાઝોડું હજુ સક્રિય છે. વાવાઝોડાનો ટ્રેક પણ નક્કી થઈ ગયો છે. 11 જૂન સુધીનો ટ્રેક જોઈ શકાયો છે. વધુમાં, વાવાઝોડું 11 જૂન સુધીમાં વેરી સિરિયસ સાયક્લોન બની જશે.
હવામાન વિભાગે વાવાઝોડાને કારણે ગુજરાતને કોઈ અસર થશે કે નહિ તેની પુષ્ટિ કરી નથી. પરંતુ હવામાન વિભાગનું અનુમાન છે કે, 9 અને 10 જૂનના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં થન્ડર સ્ટ્રોર્મ એક્ટિવિટી થશે. જેના કારણે વરસાદની શક્યતા છે.
આ પણ વાંચો
જોરદાર નવું લાયા, દર્શકો સાથે હનુમાનજી પણ ફિલ્મ જોશે, દરેક થિયેટરમાં એક સીટ અનામત રાખવામાં આવશે
અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થાય તેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળતી હોય છે. તો બીજી બાજું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું હતું કે, વાવાઝોડાના કારણે ગુજરાતના વાતાવરણ પર અસર થશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.