ચૂંટણી દરમિયાન નેતાઓ આક્ષેપ-પ્રતિઆક્ષેપો વચ્ચે એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે અને આ દરમિયાન ગઈકાલે અંબાજી શક્તિપીઠ ખાતે ભાજપના કાર્યકરોની બેઠકમાં કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરી પહોંચ્યા ત્યારે કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના લોકોએ હિન્દુસ્તાનના કટકા કરી નાખ્યા છે. બાંગ્લાદેશ બન્યું અને પાકિસ્તાન બની ગયું અને તેઓ જમ્મુ-કાશ્મીરને પણ તોડવા માગતા હતા. તેથી જ તેમણે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 લાગુ કરી. જેથી એક દેશમાં બે પ્રતીક, બે બંધારણ અને બે વડા હશે. એક દેશમાં બે વડા કેવી રીતે હોઈ શકે. પરંતુ, તે સમયે જવાહરલાલ નેહરુજીએ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 લાગુ કરીને એક અલગ રસ્તો બનાવવાનું કામ શરૂ કર્યું હતું.
કૈલાશ ચૌધરીએ કહ્યું- દેશને એક કરવાનું કામ માત્ર સંઘ અને ભાજપ જ કરી રહ્યા છે. જ્યારે કોંગ્રેસ દેશને તોડવાનું કામ કરી રહી છે. તેઓ તુષ્ટિકરણની નીતિના આધારે દેશના ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે. તેઓ તુષ્ટિકરણ માટે યાત્રા કાઢી રહ્યા છે.
બીજી તરફ કૈલાશ ચૌધરીએ પણ આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા કહ્યું કે તેમણે અણ્ણા હજારે સાથે પણ દગો કર્યો છે. હવે આ સરકાર દિલ્હીમાં ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે. દિલ્હી અને રાજસ્થાનમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. દેશને બચાવવા અને વિકસિત રાષ્ટ્ર બનાવવા ભાજપને મત આપો. આ સમગ્ર વિશ્વની ચૂંટણી છે. આપણો પાડોશી દેશ પણ આ ચૂંટણી પર નજર રાખી રહ્યો છે. પાકિસ્તાન કોઈપણ સંજોગોમાં ગુજરાતમાં ભાજપની સરકાર બને તેવું ઈચ્છતું નથી. તેઓ ઈચ્છે છે કે અહીં કોંગ્રેસની સરકાર બને. હવે તમારે નક્કી કરવાનું છે.
પાકિસ્તાનને ખુશ રાખવા કે આપણે ખુશ રહેવું જોઈએ. એવું ન થાય કે આપણી એક નાની ભૂલના કારણે પાકિસ્તાનને ખુશી મળે. પાકિસ્તાન આપણો દુશ્મન દેશ છે. ગુજરાતમાં ભાજપની સરકાર બની રહી છે. 150થી વધુ બેઠકો આવી રહી છે.