રાજકોટથી એક સમાચાર સામે આવી રહ્યા છે કે રાજકોટના ગ્રામ્ય વિસ્તારની ધરા આજે સવારે 10.40 વાગ્યે ધરતીકંપ આવ્યો હતો. ધરા ધ્રૂજી ઊઠતા ગ્રામ્ય વિસ્તારોમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ વિશે માહિતી મળી રહી છે કે ગોંડલથી 13 કિલોમીટર દૂર છે. જોકે રાજકોટમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હોય એવું લોકોને જરાય લાગ્યું નથી. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો નોંધાયો એ વાત લોકોએ પણ અનુભવી હતી અને લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.
વિગતો મળી રહી છે કે ગોંડલ, વીરપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકા અનુભવાયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપના આંચકાથી લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળ્યો હતો. ધરા ધ્રૂજતા જ ગોંડલમાં લોકો ઘરની બહાર નીકળી મેદાનમાં આવી ગયા હતા તો વીરપુર સહિતના વિસ્તારોમાં પણ લોકો પણ ડરી ગયા હતા. જો કે કોઈ નુકસાનની વાત સામે આવી નથી.
સમય સાથે વાત કરીએ તો સવારે 10 વાગ્યા બાદ લોકો કામ-ધંધે લાગ્યા હતા ત્યારે જ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં કામ કરતા ખેડૂતોએ આ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્યનો સૌરાષ્ટ્ર વિભાગ BIS સિસ્મિક ઝોનિંગ મેપ અંતર્ગત ઝોન-3 અને ઝોન-4માં આવે છે. સૌરાષ્ટ્રનો મોટા ભાગનો વિસ્તાર ઝોન-3 જ્યારે ઉત્તર તરફ કચ્છના અખાતની પાતળો બેલ્ટ ઝોન 4માં આવે છે. ઝોન-3માં 6 મેગ્નિટ્યૂટ સુધીની તીવ્રતાના ભૂકંપ આવી શકે, જ્યારે ઝોન-4માં તે 7 સુધીના હોઇ શકે છે.