“અડગ મનના માનવીને, હિમાલય પણ નથી નડતો!” આ યુક્તિને સાર્થક કરી રહ્યાં છે; રાજકોટના વિપુલભાઈ બોકરવાડિયા. હાલમાં 39 વર્ષની ઉંમર ધરાવતા વિપુલભાઈએ બે વર્ષની ઉંમરે પોલિયોને કારણે બંને પગ ગુમાવ્યા! તેમ છતાં તેઓએ હિંમત હાર્યા વિના બંને હાથની મદદથી ચાલવાનું શરૂ કર્યું અને આજે તેઓ વિકલાંગતા ભૂલીને સામાન્ય વ્યક્તિની જેમ જીવન જીવી રહ્યાં છે!
એટલું જ નહીં, વિપુલભાઈએ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર અત્યાર સુધીમાં આઠ વખત સર કર્યો છે! વર્ષ 2018માં પાંચમી વખત ગિરનાર સર કર્યો, ત્યારે તેઓએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું.
વિપુલભાઈ બેઠા-બેઠા ચાલીને 20 કલાકમાં ગિરનાર પર્વતનું ચઢાણ અને ઉતાર સફળતાપૂર્વક કરી શકે છે! તેઓ જ્યારે પણ ગિરનાર સર કરવા આવે છે, ત્યારે તેમનો ઉત્સાહ વધારવા તેમના મિત્રો, વડીલો અને સગાસ્નેહીઓનો સાથ રહે છે.
વિપુલભાઈ આ અંગે વાત કરે છે કે તેઓને ગિરનારી મહારાજ પર અતૂટ શ્રદ્ધા છે અને તેઓ 80 થી 90 વ્યક્તિઓ સાથે મળીને ‘જય ગિરનારી માનવ સેવા ગ્રુપ’ પણ ચલાવે છે, જેના દ્વારા તેઓ જરૂરિયાતમંદ લોકોની મદદ અને સેવા કરતાં રહે છે. આ ઉપરાંત તેના જેવા અન્ય વિકલાંગો અને સામાન્ય વ્યક્તિઓને પણ પ્રેરણા મળે તે માટે તેઓ ગિરનાર સર કરવા જેવી સાહસિક પ્રવૃત્તિ કરતાં રહે છે.