સુરતના કાપોદ્રામાં એક યુવતીએ આત્મહત્યા કરી લીધી હોવાના સમાચાર સામે આવ્યા છે. યુવતીની સુસાઈડ નોટ પોલીસને મળી આવી છે જેમાથી ચોકાવનારા ખુલાસાઓ થયા છે. આ બાદ યુવક અને તેની પત્ની સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધવામા આવ્યો છે. આ આખી ઘટના વિશે વિગતે વાત કરીએ તો ઉમરપાડા રહેવાસી સુનિતા(નામ બદલ્યું છે) ભાણેજ સાથે રહેતી હતી. સુનિતા પરિવારને મદદ કરવા માટે હીરાના કારખાનામાં કામ કરતી હતી.
કાલે સવારે 10 વાગ્યા સુનિતાએ ગળેફાંસો ખાઈ લીધાના સમાચાર સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. પરિવારને આ વિશે જાણ થતા દોડી આવ્યાં અને સ્મિમેર હોસ્પિટલ લઈ જવામા આવી. પોલીસને સુનિતાના ઘરેથી મળી આવેલી સુસાઈડ નોટમાં સુનિતાએ લખ્યુ હતુ કે હું પોતે સુનિતા. મારો સંબંધ પટેલ વિશાલ મનહરલાલ (રહે. ડુંગરા કામરેજ, રામજી મંદિર ટાંકી ફળિયું) સાથે હતો. હું અને વિશાલ ચાર વર્ષથી સંબંધમાં હતાં. લગ્ન કરવાની લાલચ આપી વિશાલે મારી સાથે સંબંધ બાંધ્યો હતો. વિશાલ પહેલાંથી જ પરિણીત હતા, તેમ છતાં મે તેની જોડે સંબંધ રાખ્યો.
આ સાથે સુસાઈડ નોટમાં સુનિતાએ એ વાતનો પણ ખુલાસો કર્યો હતો કે તેની પત્નીને અમારા સંબંધની માહિતી હતી, છતાં એ મને અને વિશાલને સાથ આપતી હતી. હું આજે આ ખોટું પગલું ઉઠાવું છું, મારો ફાયદો ઉઠાવ્યો છે. કામિની (નામ બદલ્યું છે, વિશાલની પત્ની) અને વિશાલે મારી જિંદગી બરબાદ કરી નાખી, હું બધી રીતે હારી ગઈ છું. એટલે હું મરું તો મારી લાશ મારા ફેમિલીને આપતાં પહેલાં વિશાલના ઘરે આપી આવજો. તો મારા આત્માને શાંતિ મળશે.
પરિવારને યાદ કરતા સુનિતાએ લખ્યુ કે વધારે માહિતી માટે કામરેજ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરી લેવી. ગત રાત્રે હું ત્યાં અરજી કરી આવી છું. મારાં માતા-પિતા, ભાઈ-બહેનને બસ એટલું કહીશ કે હું ખોટી હતી એટલે ખોટું કર્યું, વિશાલ મને મારતો, મેન્ટલી હેરાન કરતો, જે હું સહન ન કરી શકી.