આખા દેશમાં મોરબી ઝુલતા પુલની ઘટનાની ચર્ચા કરવામાં આવી રહી છે. મોરબી દુર્ઘટનામાં અત્યાર સુધી 135 લોકોના મૃતદેહ મળ્યા છે. સાથે સતત ચોથા દિવસે પણ રેસ્ક્યુ ઑપરેશન ચાલુ છે, ત્યારે રેસ્ક્યુ ઑપરેશનમાં જોડાયેલા NDRFના અધિકારીએ જણાવ્યું કે, આખી રાત રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે. 6 બોટ દ્વારા રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે, જ્યારે 4 બોટને રિઝર્વમાં રાખી છે. હજુ પણ મૃતદેહો ગુમ હોવાની શક્યતા છે. જેથી મૃતદેહો નહીં મળવા સુધી રેસ્ક્યુ ઑપરેશન શરૂ રહેશે. સાથે જ મોરબી નિવાસી અધિક કલેક્ટર એન કે મુછારે આ અંગે નિવેદન આપતા કહ્યું કે, ‘જ્યાં સુધી છેલ્લો વ્યક્તિ ન મળે ત્યાં સુધી ઓપરેશન ચાલુ રહેશે. હજુ પણ કેટલાંક લોકો ગુમ હોવાની શક્યતા રહેલી છે.’
માહિતી મુજબ બ્રિજની જાળવણી અને સમારકામની દેખરેખ રાખતી ઓરેવા કંપનીનો જાન્યુઆરી 2020નો પત્ર સામે આવ્યો છે. આ પત્ર મોરબી જીલ્લા કલેકટરને લખવામાં આવ્યો હતો. જેમાં કહેવાયું છે કે અમે કામચલાઉ સમારકામ કરીને પુલને ખુલ્લો મુકીશું. આ પત્ર પછી પણ અધિકારીઓ મૌન રહ્યા અને આટલો મોટો અકસ્માત થયો. જાન્યુઆરી 2020ના આ પત્રમાં એવી બાબતો સામે આવી છે, જે સૂચવે છે કે બ્રિજના કોન્ટ્રાક્ટને લઈને કંપની અને જિલ્લા વહીવટીતંત્ર વચ્ચે લડાઈ ચાલી રહી હતી. પત્રમાં ખુલાસો થયો છે કે ઓરેવા ગ્રૂપ પુલની જાળવણી માટે કાયમી કોન્ટ્રાક્ટ ઇચ્છતું હતું.
ગૃપે જણાવ્યું હતું કે જ્યાં સુધી તેઓને કાયમી કોન્ટ્રાક્ટ આપવામાં ન આવે ત્યાં સુધી તેઓ પુલ પર કામચલાઉ સમારકામ કરવાનું ચાલુ રાખશે. તે એમ પણ જણાવે છે કે ઓરેવા ફર્મ બ્રિજના સમારકામ માટે સામગ્રી મંગાવશે નહીં અને તેમની માંગ પૂરી થયા પછી જ તેઓ કામ પૂર્ણ કરશે. તમામ બેદરકારી બાદ પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઓરેવા ગ્રુપને કાયમી ટેન્ડર આપવામાં આવ્યું હતું. જાન્યુઆરી 2020 માં જારી કરાયેલા આ પત્ર પછી પણ બ્રિજના સંચાલન અને જાળવણી માટે ઓરેવા જૂથ સાથે 15 વર્ષ માટે કરાર કરવામાં આવ્યો હતો.