ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ આખો દેશ શોકમાં છે. આ ટ્રેન દુર્ઘટનાને દેશની સૌથી મોટી દુર્ઘટનાઓમાંની એક માનવામાં આવી રહી છે. પરંતુ આ પહેલા પણ દેશમાં અનેક ટ્રેન દુર્ઘટના થઈ છે, જેમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે. 1981માં બિહાર ટ્રેન દુર્ઘટનાને દેશની સૌથી મોટી ટ્રેન દુર્ઘટના માનવામાં આવે છે. તો ત્યાં જ, 1995માં કાલિંદી એક્સપ્રેસ દુર્ઘટના કોણ ભૂલી શકે, જેમાં 350થી વધુ લોકોના મોત થયા હતા. ચાલો જાણીએ આ ભયાનક ટ્રેન દુર્ઘટના વિશે.
દિવસ હતો 20 ઓગસ્ટ, 1995… ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં પુરુષોત્તમ એક્સપ્રેસ અને કાલિંદી એક્સપ્રેસ વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. દિલ્હી જતી કાલિંદી એક્સપ્રેસ લગભગ 2.46 વાગ્યે ફિરોઝાબાદથી નીકળી હતી. લોકો પાયલોટ એસએન સિંહ ટ્રેન ચલાવી રહ્યા હતા.
તેણે પાટા પર એક નીલગાય ઉભેલી જોઈ. લોકો પાયલોટ એસએન સિંહ ટ્રેનને રોકે તે પહેલા જ ટ્રેન નીલગાય સાથે અથડાઈ હતી. આ અથડામણને કારણે ટ્રેનની વેક્યૂમ બ્રેક એક્ટિવ થઈ ગઈ અને ટ્રેન તેની જગ્યાએ જ અટકી ગઈ.
ફિરોઝાબાદ સ્ટેશનની પશ્ચિમી કેબિનમાં, આસિસ્ટન્ટ સ્ટેશન માસ્ટર એસબી પાંડેએ કેબિનમેન ગોરેલાલને ફોન કર્યો અને ટ્રેક ક્લિયરન્સ વિશે પૂછ્યું. જવાબ મળ્યો કે ટ્રેક ક્લિયર છે. સ્ટેશન માસ્તરે પુરૂષોત્તમ એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી, જે તે જ ટ્રેક પરથી પસાર થવાની હતી જેના પર કાલિંદી એક્સપ્રેસ ઉભી હતી.
કાલિંદી એક્સપ્રેસની પાછળ પુરૂષોત્તમ એક્સપ્રેસ ઘૂસી
સિગ્નલ મળતાની સાથે જ પુરૂષોત્તમ એક્સપ્રેસ 100 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે ફિરોઝાબાદ સ્ટેશનથી નીકળી હતી. ટ્રેન થોડે જ અંતર કાપતી હતી કે લોકો પાયલટે એક ટ્રેન પહેલેથી જ પાટા પર ઉભેલી જોઈ.
ડ્રાઈવર પાસે ઈમરજન્સી બ્રેક લગાવવાનો વિકલ્પ હતો. પણ તેને ખબર હતી કે જો તેણે આટલી વધુ સ્પીડ વચ્ચે બ્રેક લગાવી તો ટ્રેનના બધા ડબ્બા એક બીજાની ઉપર ચઢી જશે.
તેની પાસે હવે વધુ કરવાનો વિકલ્પ નહોતો. ત્યારપછી થોડી સેકન્ડ બાદ પુરૂષોત્તમ એક્સપ્રેસ પાછળથી આવતી કાલિંદી એક્સપ્રેસ સાથે ટકરાઈ હતી. ટ્રેનની બોગીમાં સૂતેલા સેંકડો લોકોને જાગવાની તક પણ મળી ન હતી. ઘણી બોગીઓ એકબીજા ઉપર ચઢી ગઈ હતી.
આ પણ વાંચો
આજથી 5 દિવસ સાવધાન ગુજરાતીઓ, રેઈનકોર્ટ પહેરીને જ બહાર નીકળજો, મેઘો મુશળધાર મંડાશે, જાણો નવી આગાહી
આ બોગીઓમાં સેંકડો લોકો કચડાઈ ગયા હતા. સર્વત્ર બૂમો પડી હતી. જેમ જેમ સવાર પડતી ગઈ તેમ તેમ અકસ્માતની ભયાનકતા પણ સામે આવવા લાગી. શરીરના ભાગો ટ્રેકની આસપાસ વિખરાયેલા હતા. બચાવ કામગીરી આગામી ત્રણ દિવસ સુધી ચાલી હતી. સરકારી આંકડાઓ અનુસાર આ દુર્ઘટનામાં 358 લોકોના મોત થયા છે અને 393 લોકો ઘાયલ થયા છે.