Suprim Court: દિલ્હી રમખાણના કાવતરાના કેસમાં છેલ્લા 6 વર્ષથી જેલમાં બંધ પૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદ અને શારજીલ ઈમામને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ફટકો પડ્યો છે. સુપ્રીમ કોર્ટે આજે સ્પષ્ટ કર્યું છે કે માત્ર જેલમાં વિલંબ થયો હોવાના આધારે UAPA જેવા ગંભીર કાયદા હેઠળ જામીન મેળવી શકાય નહીં. જસ્ટિસ અરવિંદ કુમારની બેન્ચે ચુકાદો આપતા કહ્યું કે, વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારો ‘એબ્સોલ્યુટ’ એટલે કે નિરંકુશ નથી, તે કાયદાકીય મર્યાદાઓને આધીન છે.
જામીન નકારવાનું મુખ્ય કારણ
સોમવારે સુપ્રીમ કોર્ટે વર્ષ 2020ના દિલ્હી રમખાણ કાવતરાના કેસમાં આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી. આ સાથે અદાલતે જણાવ્યું હતું કે જો તપાસ એજન્સીએ આરોપીઓની આતંકવાદી કૃત્યમાં સંડોવણીના પ્રાથમિક પુરાવા (Prima Facie) રજૂ કર્યા હોય, તો લાંબો સમય જેલમાં રહેવું એ જામીન માટેનો આપોઆપ આધાર બની શકતો નથી.

‘ટ્રમ્પ કાર્ડ‘ પર કોર્ટની ટિપ્પણી
કોર્ટે પોતાના ચુકાદામાં મહત્વનું અવલોકન કર્યું કે, ટ્રાયલમાં થતા વિલંબને જામીન મેળવવા માટે ‘ટ્રમ્પ કાર્ડ’ તરીકે વાપરી શકાય નહીં. UAPA (ગેરકાયદે પ્રવૃત્તિ નિવારણ અધિનિયમ) જેવી વિશેષ કલમો હેઠળ જ્યારે રાષ્ટ્રની સુરક્ષા સામે જોખમ હોય, ત્યારે અદાલતે કાયદા દ્વારા નિર્ધારિત માપદંડોનું પાલન કરવું અનિવાર્ય છે.
વ્યક્તિગત સ્વતંત્રતા વિરુદ્ધ કાયદો
વધુમાં જસ્ટિસ અરવિંદ કુમારે નોંધ્યું કે બંધારણીય ગેરંટી ચોક્કસપણે ગંભીર ચિંતાનો વિષય છે, પરંતુ જ્યારે સંસદે કાયદો બનાવ્યો હોય ત્યારે કોર્ટે તેની મર્યાદામાં રહીને જામીન પર વિચાર કરવો જોઈએ. UAPAની કલમ 43D(5) હેઠળ જો ચાર્જશીટ જોતા ગુનો સાબિત થતો જણાતો હોય, તો જામીન આપવા પર કડક પ્રતિબંધો છે.
દિલ્હી રમખાણોનું કાવતરું
ઉલ્લેખનીય છે કે, સોલિસિટર જનરલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે 2020ના દિલ્હીના રમખાણો કોઈ આકસ્મિક ઘટના નહોતી પરંતુ તે પૂર્વ આયોજિત કાવતરું હતું. કોર્ટે માન્યું કે જે કેસમાં આરોપીની ભૂમિકા દેશની સુરક્ષાને પ્રભાવિત કરતી હોય, ત્યાં માત્ર સ્વતંત્રતાના નામે કાયદાની અવગણના કરી શકાય નહીં.

આ ચુકાદા સાથે જ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે આતંકવાદ કે રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓના ગંભીર આરોપોમાં ‘લિબર્ટી’ કરતા ‘લો’ (કાયદો) અને સાર્વજનિક હિત વધુ મહત્વના છે.