કોરોના રોગચાળો શરૂ થયા પછી વિશ્વભરની કંપનીઓના મેનેજમેન્ટની વિચારસરણીમાં ઘણો બદલાવ આવ્યો છે. હવે કંપનીઓ તેમના કર્મચારીઓની સુવિધા પર વધુ ધ્યાન આપી રહી છે. એક અનોખી પહેલ કરીને એક ભારતીય કંપનીએ તેના કર્મચારીઓને ફરજ પરના સમયે ટૂંકી નિદ્રા લેવાની ઓફર કરી છે. આ સમયગાળા દરમિયાન કોઈપણ કર્મચારીના પૈસા કાપવામાં આવશે નહીં.
કર્મચારીઓના હિતમાં જે કંપનીએ આ મહાન પહેલ કરી છે તેનું નામ વેકફિટ સોલ્યુશન છે. બેંગ્લોર સ્થિત આ ભારતીય સ્ટાર્ટ અપ કંપનીએ જાહેરાત કરી છે કે હવે ઓફિસમાં આવતા કર્મચારીઓ 30 મિનિટ એટલે કે દૈનિક ડ્યુટી અવર્સમાં અડધો કલાક ઊંઘી શકશે.
કંપની મેનેજમેન્ટનું કહેવું છે કે આ પહેલથી તેના કર્મચારીઓ ફિટ થશે અને વધુ ઉત્સાહ સાથે કામ કરી શકશે. કંપનીનું કહેવું છે કે હવે કર્મચારીઓ બપોરે 2 થી 2.30 વચ્ચે દરરોજ અડધો કલાકની નિદ્રા લઈ શકશે. કર્મચારીઓ માટે હંગામી ધોરણે સૂવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કંપની સ્લીપ સોલ્યુશન આપવાનું કામ કરે છે.
કંપનીના સહ-સ્થાપક ચૈતન્ય રામલિંગેગૌડાએ તમામ કર્મચારીઓને ઈમેલ મોકલીને આ નિર્ણયની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે નાસા હાવર્ડ યુનિવર્સિટીના અભ્યાસમાં સામે આવ્યું છે કે દરરોજ બપોરે અડધો કલાકની નિદ્રા લેવાથી વ્યક્તિ ફ્રેશ રહે છે અને તેના કામનું પ્રદર્શન પણ 33 ટકા સુધરે છે. કંપનીના આ નિર્ણયથી કર્મચારીઓ પણ ખૂબ જ ખુશ છે અને તેને કામમાં સુધારો કરવાની દિશામાં એક સારું પગલું ગણાવી રહ્યા છે.