પશ્ચિમ બંગાળમાં કોરોનાનો પ્રસાર અટકવાનું નામ જ નથી લઈ રહ્યો અને દરરોજ હજારોની સંખ્યામાં સંક્રમિતો સામે આવી રહ્યા છે. ત્યારે બંગાળના એક શખ્સે માનવતા માટે પોતાનું શરીર દાનમાં આપી દીધું છે અને હવે તેના શરીર પર કોરોના અંગેનું સંશોધન થશે. દેશમાં પહેલી વખત કોઈ વ્યક્તિએ કોરોના અંગેના સંશોધન માટે પોતાના શરીરનું દાન કર્યું છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં સતત કોરોના વાયરસ અંગે સંશોધન થઈ રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે દેહદાન કરનારા વ્યક્તિનું નામ ર્નિમલ દાસ હતું અને તેમની ઉંમર ૮૯ વર્ષની હતી.

ન્યૂ ટાઉન વિસ્તારમાં રહેતા ર્નિમલ દાસ કેન્સરથી પીડાઈ રહ્યા હતા અને મૃત્યુ પહેલા કોરોના પોઝિટિવ આવ્યા હતા. શુક્રવારે તેમણે મેડીકલ રિસર્ચ માટે પોતાનું શરીર દાનમાં આપી દીધું હતું. એક અધિકારીના કહેવા પ્રમાણે ર્નિમલબાબુનું પાર્થિવ શરીર શનિવારે આરજી કર મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગને દાનમાં આપી દેવામાં આવશે. સ્વાસ્થ્ય વિભાગના અહેવાલ પ્રમાણે પશ્ચિમ બંગાળમાં ૩,૮૦૫ નવા કેસ સામે આવ્યા છે. તાજેતરના કેસની સાથે જ રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને ૧૯,૮૬,૬૬૭ થઈ ગઈ છે.