મધ્યપ્રદેશના દેવાસમાં પત્નીના લગ્નેત્તર સંબંધો પર પતિએ નિર્દયતાની હદ વટાવી દીધી. પહેલા તેણે તેની પત્નીને ખરાબ રીતે માર માર્યો, તેના વાળ ખેંચ્યા, તેને જમીન પર પણ પછાડી. આટલાથી પણ તેને સંતોષ ન થયો તો પત્નીના ખભા પર બેસીને આખા ગામમાં સરઘસ કાઢ્યું. તેણે પત્નીને ચંપલનો હાર પણ પહેરાવ્યો હતો. આ વિશે વિગતે વાત કરીએ તો આ મહિલાને ત્રણ બાળકો છે. તે છેલ્લા એક સપ્તાહથી તેના પુરુષ મિત્ર સાથે રહેતી હતી.
આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. દેવાસના એડિશનલ એસપી સૂર્યકાંત શર્માએ જણાવ્યું કે તેમના પતિ સહિત 11 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ ઘટના એક દિવસ પહેલા દેવાસ જિલ્લાના પંજાપુરાના બોરપાડાવ ગામમાં બની હતી. તેનો વીડિયો હવે સામે આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે મહિલા એક અઠવાડિયા પહેલા ઘરેથી ગુમ થઈ ગઈ હતી. તેના પતિ અને સાસરિયાઓએ તેની ઘણી શોધ કરી. આખરે કોઈ જાણકારી ન મળતા ઉદયનગર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
રવિવારે પતિએ કોઈને જાણ કરી કે તેની પત્ની ગામમાં જ તેના પ્રેમીના ઘરે છે. આ પછી પતિ અને સાસરિયાં તેને શોધતા શોધતા પ્રેમીના ઘરે પહોંચ્યા. ત્યાં મહિલા બોક્સમાં છુપાયેલી મળી આવી હતી. આરોપીઓ તેને બહાર લઈ ગયા અને આખા ગામની સામે તેની મારપીટ કરી. માત્ર એક-બે જણને બાદ કરતાં મોટા ભાગના લોકો દર્શકો જ રહ્યા. પોલીસે હવે મહિલાને તેના માવતરે મોકલી છે. આ મહિલાના લગ્ન માત્ર 15 વર્ષની ઉંમરે થયા હતા. 30 વર્ષીય મહિલાને બે પુત્રી અને એક પુત્ર છે. મોટી દીકરી 13 વર્ષની અને નાની 10 વર્ષની છે. પુત્રની ઉંમર 8 વર્ષની છે.
કહેવામાં આવી રહ્યું છે કે થોડા દિવસો પહેલા બાળકોએ પોતાની માતાને તેના પ્રેમી સાથે જોઈ હતી. તેણે આ વાત તેના પિતાને જણાવી. આ બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. આ પછી જ મહિલા ઘરની બહાર નીકળી ગઈ હતી. ઉદયનગર પોલીસે આરોપી મુકેશ, ચિતારામ, રાહુલ, નાનુરામ, ગબ્બર, બાલુ, ભોલિયા, ધર્મેન્દ્ર, કરણ અને છોટુ સામે ગુનો નોંધ્યો છે. તમામ બોર પેડના રહેવાસી છે. ગ્રામીણ એએસપી સૂર્યકાંત શર્માએ જણાવ્યું કે અન્ય અજાણ્યા લોકો સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ કરી છે.
આ ઘટનાને લઈને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે રાજ્ય સરકારને ઘેરી છે. તેમણે કહ્યું- શિવરાજજી, હું તમને પૂછવા માંગુ છું કે રાજ્યમાં આદિવાસી મહિલાઓ પર આટલો બર્બર અત્યાચાર કેમ થઈ રહ્યો છે? આખરે શું કારણ છે કે તમે જાહેરાતો કરતા રહો છો અને આદિવાસી મહિલાઓ પરના અત્યાચાર સતત વધતા રહે છે? આ પહેલો કિસ્સો નથી. શું મધ્યપ્રદેશના લોકોએ હવે માનવું જોઈએ કે રાજ્યમાં આદિવાસીઓ પર આટલો અત્યાચાર ફક્ત તમારી સરકારના રક્ષણ હેઠળ થઈ રહ્યો છે? તમે આદિવાસીઓના નામે ચાલાકીઓ કરતા રહો છો અને આદિવાસીઓની હાલત દિવસેને દિવસે ખરાબ થતી જાય છે. મને મારા આદિવાસી ભાઈ-બહેનોની હાલત જોઈને શરમ આવે છે, તમને શરમ નથી આવતી?