Sunetra Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. અજિત પવાર જૂથના વરિષ્ઠ નેતા સુનેત્રા પવાર આજે સાંજે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ ઘટનાક્રમે પવાર પરિવાર અને મહારાષ્ટ્રની રાજનીતિમાં ખળભળાટ મચાવી દીધો છે.
શું શરદ પવાર આ નિર્ણયથી નારાજ છે? મહારાષ્ટ્રની સત્તાના સમીકરણો બદલાઈ રહ્યા છે. શું સુનેત્રા પવારની તાજપોશી પવાર પરિવારમાં તિરાડ વધારશે? જાણો આ માહિતીમાં……
સુનેત્રા પવાર બનશે નવા ડેપ્યુટી સીએમ
એનસીપી (અજિત પવાર જૂથ) ના વરિષ્ઠ નેતા સુનિલ તટકરેએ પુષ્ટિ કરી છે કે સુનેત્રા પવાર આજે સાંજે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લેશે. આજે બપોરે ૨ વાગ્યે ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં જે પણ નિર્ણય લેવાશે, તે ઔપચારિક રીતે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને સોંપવામાં આવશે. સુનેત્રા પવાર હાલ રાજ્યસભાના સાંસદ છે, આથી તેઓ ટૂંક સમયમાં જ પોતાના પદ પરથી રાજીનામું આપવાની પ્રક્રિયા પૂર્ણ કરશે.

પક્ષમાં સર્વસંમતિ અને ધારાસભ્યોની માંગ
મહારાષ્ટ્ર સરકારના મંત્રી છગન ભુજબળે જણાવ્યું કે સુનેત્રા પવારનું ડેપ્યુટી સીએમ બનવું તે કાર્યકર્તાઓ અને ધારાસભ્યોની ઈચ્છા છે. વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં સુનેત્રા પવાર આ જવાબદારી સંભાળે તે જરૂરી છે. પ્રફુલ પટેલ અને સુનિલ તટકરેએ દેવગિરી બંગલે જઈને સુનેત્રા પવાર સાથે મુલાકાત કરી છે. પાર્થ પવારને રાજ્યસભામાં મોકલવાની ચર્ચા પર ભુજબળે કહ્યું કે પહેલા આ પ્રક્રિયા પૂર્ણ થવા દો, પછી બાકીના નિર્ણયો લેવાશે.
શરદ પવારની અજાણતા અને નારાજગી
અહીં સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે શરદ પવાર અને સુનેત્રા પવાર વચ્ચે આજે એક બેઠક યોજાવાની હતી. જોકે, આ બેઠક પહેલા જ અજિત પવાર જૂથે સુનેત્રાના નામ પર મહોર મારી દીધી. જ્યારે શરદ પવારને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેમને આ અંગે કોઈ જાણકારી નથી. આ નિવેદન દર્શાવે છે કે તેઓ આ નિર્ણયથી ક્યાંક ને ક્યાંક અસહજ છે. શરદ પવારે સ્પષ્ટ કર્યું કે આ તેમની પાર્ટીનો આંતરિક નિર્ણય હોઈ શકે છે.
ગોવિંદ બાગમાં હલચલ તેજ
બીજી તરફ, શરદ પવારના નિવાસસ્થાન ‘ગોવિંદ બાગ’ ખાતે પણ બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. રોહિત પવાર, સુપ્રિયા સુલે અને યુગેન્દ્ર પવાર વચ્ચે ચર્ચા ચાલી રહી છે. પાર્થ પવાર પણ શરદ પવારને મળવા પહોંચ્યા છે. અજિત પવાર ઈચ્છતા હતા કે પરિવાર અને પક્ષ સાથે રહે, પરંતુ આ તાજેતરના ઘટનાક્રમે મહારાષ્ટ્રના રાજકારણને ફરી એક નવી દિશા આપી દીધી છે.