એન્ટિલિયા કાંડ બાદ હવે ફરીથી મુકેશ અંબાણીને ધમકી મળી છે. આ વખતે અંબાણી પરિવારની રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર આ ધમકીભર્યો ફોન કોલ આવ્યો હતો. ધમકી આપનારા શખસે મુકેશ અંબાણી અને તેમના પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. સૂત્રો મુજબ, ધમકીભર્યા કુલ ૮ ફોન આવ્યા હતા. જેથી હોસ્પિટલ ઓથોરિટીએ મુંબઈના ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે એક શખસની બોરીવલીમાંથી ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
દેશની સૌથી પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને તેમના પરિવારને ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે તકેદારીના ભાગરૂપે અંબાણી પરિવારના નિવાસ સ્થાન એન્ટિલિયાની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરી દીધી છે. આ ઉપરાંત ખાનગી સુરક્ષા વ્યવસ્થા પણ વધુ ચુસ્ત કરી દેવાઈ છે. મામલાની ફરિયાદ મળતાં જ મુંબઈ પોલીસની એક ટીમે હોસ્પિટલે પહોંચીને તપાસ હાથ ધરી હતી. જે લેન્ડલાઈન નંબર પર ધમકીભર્યા ફોન કોલ મળ્યા હતા, તેની કોલ ડિટેઈલ કઢાવાઈ હતી. પોલીસે બોરીવલીની એમએચબી કોલોનીમાંથી એક શખસની ધરપકડ કરી છે.
આ વ્યક્તિ પોતે દહીંસરનો રહેવાસી હોવાનું જણાવી રહ્યો છે. સૂત્રો મુજબ, ફોન કરનારી વ્યક્તિ અંગે એવી જાણકારી સામે આવી છે કે, તે એક માનસિક રોગી છે. જાેકે, પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે. આ પહેલા ગત વર્ષે ફેબ્રુઆરીમાં મુકેશ અંબાણીના ઘરની બહારથી શંકાસ્પદ કાર મળી હતી. જેમાં જિલેટીનની ૨૦ સ્ટિક્સ મળી હતી. શંકાસ્પદ કાર મળ્યા બાદ હડકંપ મચી ગયો હતો. આ મામલે મહારાષ્ટ્ર એટીએસ ઉપરાંત એનઆઈએએ પણ આ મામલે તપાસ કરી હતી. જે કારમાં વિસ્ફોટકો મળ્યા હતા, તે કાર મનસુખ હિરેનની હતી. પરંતુ થોડા દિવસો પછી મનસુખ હિરેનની લાશ મળતા આ કેસમાં નવો વળાંક આવ્યો હતો. મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો ભરેલી કાર મળવા મામલે એનઆઈએએ મુંબઈ પોલીસના ઓફિસર સચિન વાઝેની ધરપકડ કરી હતી. સચિન વાઝે પર આરોપ છે કે, તેમણે જ મનસુખ હિરેનની હત્યા કરી છે.