સેન્ટ્રલ અમેરિકન દેશ અલ સાલ્વાડોરમાં એક ફૂટબોલ સ્ટેડિયમમાં મચેલી નાસભાગમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. સાલ્વાડોરન ફૂટબોલ અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્ટેડિયમમાં આલિયાન્ઝા એફસી અને ક્લબ ડિપોર્ટિવો એફએએસ વચ્ચેની મેચ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. સ્ટેડિયમના એક પ્રવેશદ્વાર પર મારામારી બાદ નાસભાગ મચી ગઈ હતી.
બંને ટીમના સમર્થકો એક પ્રવેશદ્વાર પર બોલાચાલી કરવા લાગ્યા. આ સ્ટેડિયમ રાજધાનીના ઉત્તરપૂર્વમાં આશરે 25 માઈલ (41 કિમી) દૂર છે અને મધ્ય અમેરિકાના સૌથી મોટા સ્ટેડિયમોમાંનું એક છે. તેની સત્તાવાર ક્ષમતા 44,000 થી વધુ દર્શકોની છે.
ટુર્નામેન્ટ સ્થગિત કરવામાં આવશે
સંસ્થાએ ટ્વીટર પર લખ્યું, ‘સાલ્વાડોરન ફૂટબોલ ફેડરેશન કુસ્કેટલાન સ્ટેડિયમમાં બનેલી ઘટનાઓ માટે ખૂબ જ ખેદ વ્યક્ત કરે છે. આ ઘટનામાં અસરગ્રસ્તો અને મૃતકોના પરિવારો પ્રત્યે અમારી સંવેદના છે. ફેડરેશને કહ્યું કે તેઓ શનિવારની ઘટનાઓ પછી ટૂર્નામેન્ટને સ્થગિત કરવાની વિનંતી કરશે અને સ્પોર્ટ્સ વેન્યુ સેફ્ટી કમિશન સાથે બેઠક બોલાવશે.
ફિફાનું નિવેદન
ફૂટબોલની વર્લ્ડ ગવર્નિંગ બોડી FIFA એ ઘટનાઓ પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે આર્જેન્ટિનામાં અંડર-20 વર્લ્ડ કપમાં ચાર મેચ પહેલા એક મિનિટનું મૌન પાળવામાં આવશે. “અલ સાલ્વાડોરમાં થયેલી દુ:ખદ ઘટનામાં જીવ ગુમાવનારા પીડિતોના પરિવારો અને મિત્રો પ્રત્યે હું ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. ફૂટબોલ મેચમાં ભાગ લેનારાઓ અને પ્રશંસકોની સુરક્ષા અત્યંત મહત્વની છે,” ફિફા પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનોએ એક નિવેદનમાં જણાવ્યું હતું..
આ પણ વાંચો
500 Note: 2000 બાદ હવે 500ની નોટને લઈ સૌથી મોટું અપડેટ, લોકોએ 1000 કામ પડતાં મૂકી જાણી લેવું જોઈએ
અલ સાલ્વાડોરના પ્રમુખ નાયબ બુકેલે કહ્યું કે નેશનલ સિવિલ પોલીસ અને એટર્ની જનરલ ઓફિસ સ્ટેડિયમમાં બનેલી ઘટનાઓની સંપૂર્ણ તપાસ કરશે. બુકેલેએ ટ્વિટર પર લખ્યું, ‘ટીમ, મેનેજર, સ્ટેડિયમ, બોક્સ ઓફિસ, લીગ, ફેડરેશન વગેરે જે પણ ગુનેગાર હશે, તેમને બક્ષવામાં આવશે નહીં. દરેકની તપાસ કરવામાં આવશે.
આવી ઘટના ગયા વર્ષે પણ બની હતી
ગયા વર્ષે ઓક્ટોબરમાં ઇન્ડોનેશિયાના પૂર્વ જાવાના એક સ્ટેડિયમમાં આવી જ નાસભાગ મચી હતી જેમાં 135 દર્શકોના મોત થયા હતા. પોલીસે ભીડ પર ટીયર ગેસના શેલ છોડ્યા બાદ બહાર નીકળવા માટે દોડતી વખતે ઘણા લોકો કચડીને મૃત્યુ પામ્યા હતા.