હાલમાં અમદાવાદમાં આકરો ઉનાળો પડી રહ્યો છે. ત્યારે હવે ફરીથી 3 દિવસ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને નવી આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.2 ડિગ્રી, અમરેલીમાં 39.4, વડોદરામાં 40, ભાવનગરમાં 38.5, ભુજમાં 39.4, છોટાઉદેપુરમાં 39.3, ડાંગમાં 40.2, ડીસામાં 39.1, દ્વારકામાં 29.2, ગાંધીનગરમાં 38.2, જામનગરમાં 34.4, જૂનાગઢમાં 39.5, નલિયામાં 34.6, પંચમહાલમાં 39.8, પાટણમાં 41, રાજકોટમાં 38.6, સુરતમાં 38.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આગામી દિવસોમાં આગ ઝરતી ગરમી માટે તૈયાર રહેવું પડશે. કારણ કે આજથી 3 દિવસ ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ દરમિયાન તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. અમદાવાદમાં 3 દિવસ યલો એલર્ટને પગલે શહેરીજનોને પણ ખાસ સાવચેત રહેવાની ફરજ પાડી છે. બીજી બાજુ, આજે અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રીએ પહોંચી પણ ગયું છે. રાજ્યમાં માવઠાના માર વચ્ચે આગ ઝરતી ગરમીથી ગુજરાતીઓ શેકાઇ રહ્યા છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં પારો ઉચકાઇ રહ્યો છે અને લોકોને ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે.
અંબાલાલે પણ કરી છે આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે જેથી લોકોમાં અને ધરતીપુત્રોમાં હાહાકાર મચી ગયો છે. આ વખતે અંબાલાલ પટેલે વરસાદની સાથે ગરમીનું જોર વધવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે ત્યારે આવો જાણીએ હવે શું છે નવી આગાહી. અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી કે, ગુજરાતમાં 12થી 19 એપ્રિલ વચ્ચે હવામાનમાં પલટો આવશે. વાતાવરણ વરસાદી થશે. આ દરમિાયન સૌરાષ્ટ્ર અને કચ્છના હવામાનમાં પલટો આવશે. 12થી 15 એપ્રિલ દરમિયાન પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની પણ શક્યતાઓ વિશે વાત કરી છે. ખાસ કરીને ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થશે. 23થી 28 એપ્રિલે પવન-આંધી સાથે રાજ્યના વિવિધ ભાગમાં વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે.
અંબાલાલે એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી આસપાસ રહેશે એવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના બનાસકાંઠા, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ઝાપટાં પડવાની શક્યતા છે. આ પહેલાં હવામાન વિભાગની આગાહી કરી હતી ત્યારે જગતના તાતની ચિંતાનો કોઈ પાર રહ્યો ન હતો. ખેડૂતો હજી માવઠાના નુકસાનમાંથી બેઠા નથી થયા ત્યારે વારંવાર આવતા માવઠાથી ખેડૂતોની માઠી દશા થઈ છે.