હાલમાં જ ચૂંટણી પુરી થઈ અને ભાજપે પુર્ણ બહુમતી સાથે સરકાર બનાવી છે. ત્યારે હવે એક નવી જ વાત અને નવો જ કાંડ સામે આવી રહ્યો છે. જેવી તેવી પોલિટિક પાર્ટીને લોકો દાન આપીને રોકડા લઈને પોતાના પૈસાને બ્લેકના વ્હાઈટ કરતા હતા અને હવે આવા કેટલાય લોકો ઝડપાયા છે. રાજકીય પક્ષોને આપેલું દાન આવકવેરામાં બાદ મળતું હોય છે તેથી લોકો અવાર નવાર આવા કાંડ કરતા રહે છે. પરંતુ આવકવેરો ભરવો ન પડે એટલે આઇટીનું લાઈસન્સ હોય એવી નાની પાર્ટીઓને ચેક કે આરટીજીએસથી દાન કરીને પાછળથી રોકડરૂપે પરત મેળવી લેવાનું આ સમગ્ર ષડયંત્ર સામે આવતા ઇન્કમટેક્સ વિભાગે આકરી કાર્યવાહી કરી છે.
આ કારસ્તાનમાં એવું સામે આવ્યું છે કે જેટલું દાન કરો ત્યારે પાર્ટીઓ 5થી 11 ટકા સુધી કમિશન લેતી હોય છે અને બાકીની રકમ કરદાતાને રોકડમાં પરત આપતી હોય છે. ઇન્કમટેક્સ વિભાગે આવી બોગસ પાર્ટીઓના ફંડ વપરાશ અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરતાં ખોટી રીતે ટેક્સ વળતરની રકમ પરત લેવા સેક્શન 148 હેઠળ નોટિસ તેમજ શો-કોઝ નોટિસ ઇસ્યૂ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં મહેસાણા જિલ્લામાં અંદાજે 500 કરદાતાઓના રિટર્ન ફાઇલના કેસ રિઓપન કરી નોટિસો આપી હોવાનું બહાર આવ્યું છે.
રાજકીય પાર્ટીઓને દાનના નામે સરકારની 20-30 ટકા ટેક્સની ચોરી કરતાં લોકો હવે આઇટીના રડારમાં આવી ગયા છે અને આકરી પુછપરછ પણ કરવામાં આવી રહી છે. જેમાં મોટાભાગે નોકરિયાત વર્ગનો સમાવેશ થાય છે. રાજકીય પક્ષોને આપેલું દાન સાબિત કરવામાં નિષ્ફળ જાય તો 100 ટકા ટેક્સ અને 200 ટકા પેનલ્ટી ભરવી પડશે. આ નોટિસો વર્ષ 2019-20 અને 2021-22 માટે અપાઇ છે. મહેસાણા જિલ્લામાં આવા કરદાતાઓને નોટિસ ઇસ્યૂ કરી એક અઠવાડિયામાં જવાબ કરવા તાકીદ કરાઇ છે.
તો આ તરફ આઇટીનાં સૂત્રો દ્વારા એક વાત જાણવા મળી છે કે 23 જેટલી બોગસ પાર્ટીઓની ફંડ બાબતે કરાયેલી તપાસમાં તેમના તરફથી નાણાં પરત કર્યાનું જાણવા મળ્યું છે. આવા કરદાતાઓના રિટર્ન ફાઇલના કેસ રિઓપન કરવામાં આવી રહ્યા છે. જેમાં સરકારી નોકરિયાત વર્ગના લોકો વધારે જોવા મળી રહ્યા છે. પાર્ટીને દાન અંગે કેટલાક શિક્ષકો, પ્રોફેસરો, ઓએનજીસી વગેરેના કેટલાક કર્મીઓનો આ બાબતે પૂછપરછ કરવા લાગ્યા છે. ઘણા નોકરિયાતને 20થી 30 ટકા ટેક્સ સ્લેબમાં 25 ટકા ફાયદો લેવામાં 100 ટેક્સ અને 200 ટકા પેનલ્ટી માથે આવશે.
જ્યારે ટેક્સ પ્રેક્ટિશનર સૂત્રોએ કહ્યું કે વાસ્તવમાં 5 ટકા દાન કરી 100 ટકા દાનની રસીદ મેળવીને 25 ટકા ટેક્સમાં ફાયદો મેળવવાના કિસ્સાઓમાં તપાસ શરૂ થઇ છે. જોકે, આમાં કેટલાક લોકોએ વાસ્તવમાં રાજકીય પાર્ટીને 100 ટકા દાન કર્યું હોય અને કંઇ પરત રોકડ ન મેળવી હોય તેવાને પણ નોટિસ મળી છે.