શક્તિસ્વરૂપા અંબાજી મંદિર દેશના ખૂબ જ જૂના 51 શક્તિપીઠોમાંનું એક છે. જાણો કેમ અંબાજી મંદિરમાં માં અંબેની કોઈ મૂર્તિ નથી ? કેમ અહી વગર મૂર્તિએ કરવામાં આવે છે પૂજા ? શું છે જગત જનની માં અંબેનો મહિમા ? ભાદરવી પૂનમ અને નવરાત્રી પર્વમાં કઈ રીતે કરવામાં આવે છે માં અંબેની પૂજા ? લોક પત્રિકાનો આ વિશેષ…
ભારતભરમાં યાત્રાધામ તરીકે મશહુર એવુ શ્રી આરાસુરી અંબાજી માતા મંદિર ગુજરાત રાજ્યના બનાસકાંઠામાં આવેલુ છે. જે એક પુરાણપ્રસિદ્ધ શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી તીર્થમાં લાખો ભાવિક ભક્તો માના દર્શાનાર્થે આવે છે. તેમની સુખ અને સુવિધાઓ જળવાઈ રહે સાથે સાથે માનસિક શાંતિ અને શક્તિ પણ મેળવે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે, ગુજરાત સરકાર દ્વારા મંદિરનો જીર્ણોધ્ધાર અને શિખરની કામગીરી પૂર્ણ કરી સુવર્ણ કળશો પ્રતિષ્ઠિત કરેલ છે. 358 સુવર્ણ કળશ ધરાવતું ભારત ભરમાં એક માત્ર શક્તિપીઠ છે. 51 શક્તિપીઠોમાં હૃદયસમુ અંબાજી લાખો ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. અરવલ્લીની ગીરીમાળામાં આવેલ પવિત્ર યાત્રાધામ અંબાજી દરિયાઈ સપાટીથી 1600 ફુટની ઉંચાઈ પર આવેલ છે. અંબાજી ગામમાં યાત્રાળુઓને લગતા માલ સામાનના વ્યાપારની તથા માર્બલ ઉદ્યોગનો મોટા પાયે વિકાસ થયેલ છે.
અંબાજી મંદિરનું જીર્ણોદ્ધાર 1975માં શરૂ થયું હતું. જે હજી સુધી ચાલુ છે. સફેદ સંગેરમરમરથી બનેલું આ ભવ્ય મંદિર પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ મંદિરનું શિખર 103 ફુટ ઊંચું અને તેના પર 358 સુવર્ણ કળશ સ્થાતપિત કરાયેલા છે. મંદિરથી લગભગ 3 કિમીના અંતરે ગબ્બર નામનો પર્વત પણ છે, જ્યાં દેવીમાનું એક પ્રાચીન મંદિર આવેલું છે. એવું માનવામાં આવે છે કે આ પત્થર પર માતાના પદચિહ્ન તેમજ રથચિહ્ન બનેલા છે. અંબાજીના દર્શન પછી, શ્રદ્ધાળુઓ ગબ્બર પર્વત પર આવેલ આ મંદિરમાં જાય છે. અહી દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો ભરાય છે અને તે એક મહોત્સવથી પણ વિશેષ હોય છે. નવરાત્રીના અવસરે મંદિરમાં ગરબા અને ભવાઇ જેવા પારંપારિક નૃત્યોંનું આયોજન કરવામાં આવે છે.
અંબાજીમાં પરંપરાગત ભાતીગળ ભાદરવી પૂનમના મેળાનો ઇતિહાસ 300 વર્ષ જૂનો છે. આ મેળા સાથે કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે. દર વર્ષે ભાદરવી પૂનમના રોજ યોજાતો આ મેળો સાત દિવસ ચાલે છે, આ મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનથી અંદાજે 25 થી 30 લાખ જેટલા દર્શનાર્થીઓ પગપાળા આવતા હોય છે. મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ના પડે તે માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સહિત જિલ્લા વહીવટીતંત્ર આગોતરું આયોજન કરે છે. પદયાત્રીઓની સેવા માટે આલીશાન સેવા કેમ્પો લાગતા હોય છે. નવરાત્રીમા માં અંબાને પોતાના ગામ ઘરે પધારવા માટે આમંત્રણ આપવા કે શેર માટીની ખોટ પુરી થતા માનતા પુરી માટે ભાદરવી પૂનમ પર ભક્તો અંબાજી આવે છે. મેળામાં 2000 કરતા વધુ સંઘ આવે છે અને માં અંબેને ધજા ચઢાવે છે. દૂર દૂરથી પગપાળા આવતા શ્રદ્ધાળુઓ માં અંબેના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અને સમગ્ર અંબાજી ‘બોલ મારી અંબે જય જય અંબે’ના નાદથી ગુંજી ઉઠે છે.
ભાગવત પુરાણ મુજબ, પ્રજાપતિ દક્ષ રાજાએ બૃહસ્પતિષ્ક નામના યજ્ઞનું આયોજન કર્યુ હતું. દક્ષે બધા દેવોને આમંત્રણ આપ્યુ હતું. પરંતુ પોતાના જમાઈ ભગવાન શંકરને આમંત્રણ ન આપ્યું. પિતાને ત્યાં યજ્ઞ છે એવા સમાચાર સાંભળીને ભગવાન શંકરનો વિરોધ હોવા છતાં સતિ પાર્વતી પિતાને ઘરે પહોંચી ગયા. એ વખતે દક્ષે શંકર વિશે અપમાનજનક શબ્દો કહેતાં પાર્વતીએ યજ્ઞકુંડમાં પડી જીવ દઈ દીધો. એ પછી ભગવાન શિવે પાર્વતીના દેહને ખભા પર ઉપાડીને તાંડવ નૃત્ય શરુ કર્યું.
શિવના ક્રોધથી સમગ્ર સૃષ્ટિ ભયભીત થઈ ગઈ ત્યારે પાર્વતીમાં રહેલી શિવની આસક્તિ નાબુદ કરવા ભગવાન વિષ્ણુએ ચક્ર વડે સતીના દેહના ટૂકડા કરવા માંડ્યા.એ વખતે જ્યાં જ્યાં સતીના દેહના ટૂકડા પડ્યા એ દરેક સ્થાનો શક્તિપીઠ તરીકે ઓળખાય છે. ભાગવત ઉપરાંત સ્કંદ પુરાણ અનુસાર, સતી પાર્વતીના હૃદયનો હિસ્સો જ્યાં પડ્યો એ સ્થાન આરાસુરી શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અને આ આરાસુરી શક્તિપીઠ છે અંબાજી.
ભાગવતમાં ઉલ્લેખ છે કે ભગવાન શ્રીકૃષ્ણ માથાના વાળ ઉતારવાની વિધિ આરાસુરમા મા અંબાના સ્થાને થઈ હતી. એ પ્રસંગે નદ યશોદાએ માતાજીના સ્થાન કે જવારા વાવ્યા હતા અને સાત દિવસ સુધી અંબાજી રહ્યા હતા. આજે પણ એ સ્થળ ગબ્બર પર્વત ઉપર જોવા મળે છે. “અરાસુરી અંબાજી” ના પવિત્ર મંદિરમાં દેવીની કોઈ છબી અથવા મૂર્તિ નથી. પરતું અહી પવિત્ર “શ્રી વિસા યંત્ર” ને પૂજવામાં આવે છે. ખુલ્લી આંખ સાથે યંત્રને કોઈ જોઈ શકતું નથી. યંત્રના ફોટોગ્રાફી પર પ્રતિબંધ છે.
અંબાજી માતાનું મૂળ સીટ નગરમાં ગબ્બર પર્વતમાળા પર આવેલું છે. મંદિરમાં માતાજીનાં દર્શન માટે સુવર્ણજડિત વીસોયંત્ર છે. જે શક્તિની આરાધના માટે મહત્વનું છે. આકાર ઉપાસના માટે ભક્તોને મૂર્તિરૂપી અવલંબનની આવશ્યકતા હોય છે આથી પૂજારીઓ વસ્ત્રો, અને આભૂષણો દ્વારા માતાજીની મૂર્તિ સાક્ષાત્ હોય તેવી રચના કરે છે અને દિવ્ય વાતાવરણ સર્જે છે. મહાશક્તિના દરરોજ અલગ અલગ વાહનથી સવારી સાથે દર્શન કરાવાય છે.