Sikkim Flash Floods Updates : સિક્કિમમાં (sikkim) કુદરતી આફતમાં (Natural disaster) અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે. સેનાના ગુમ થયેલા 23 જવાનોમાંથી એકને બચાવી લેવામાં આવ્યો છે. સૈનિકની સારવાર ચાલી રહી છે, અને તેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. લાપતા થયેલા અન્ય 22 સૈનિકોને શોધવા માટે સર્ચ ઓપરેશન (Search operation) ચાલી રહ્યું છે અને પશ્ચિમ બંગાળ સુધી તીસ્તા નદીમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અધિકારીઓએ બુધવારે આ માહિતી આપી હતી.
તીસ્તા નદીમાં પાણી ઝડપથી વધી ગયું હતું
સિક્કિમના મંગન જિલ્લાના લોનાક તળાવના કેટલાક ભાગોમાં હિમનદીઓના કારણે આવેલા પૂરને કારણે તીસ્તા નદીના નીચાણવાળા વિસ્તારોમાં પાણીના સ્તરમાં ખૂબ જ ઝડપથી વધારો થયો હતો. તેના કારણે મંગન, ગંગટોક, પાક્યોંગ અને નામચી જિલ્લામાં મોટું નુકસાન થયું છે. ઉત્તર સિક્કિમના લ્હોનાક તળાવના કેટલાક ભાગોમાં તળાવ ફાટવાને કારણે લગભગ 15 મીટર/સેકન્ડના ઊંચા વેગ સાથે પાણીનું સ્તર વધ્યું હતું.
સેનાના 23 જવાનો લાપતા હતા.
આ જ હોનારત બાદ જિલ્લામાં સેનાના 23 જવાનો લાપતા થયા હતા. તેમાંથી એકને બચાવી લેવામાં આવ્યો છે. પૂરમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે સેનાના 22 જવાનો સહિત 48 લોકો હજુ પણ લાપતા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઉત્તર બંગાળમાં ત્રણ લોકો તણાઈ ગયા હતા. ગંગટોકના ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (એસડીએમ) મહેન્દ્ર છેત્રીએ જણાવ્યું હતું કે, “ગોલીતર અને સિંગતમ વિસ્તારમાંથી પાંચ મૃતદેહો મળી આવ્યા છે.”
પરિસ્થિતિનું સતત નિરીક્ષણ
દરમિયાન, કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન સમિતિ (એનસીએમસી)ની બુધવારે બેઠક મળી હતી અને સિક્કિમની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે સમિતિને રાહત અને બચાવનાં પગલાં લેવામાં રાજ્ય સરકારના પ્રયત્નો વિશે પણ માહિતી આપી હતી. ગૃહ સચિવે સમિતિને જણાવ્યું કે કેન્દ્ર સરકાર ઉચ્ચ સ્તર પર 24×7 સ્થિતિ પર નજર રાખી રહી છે. ગૃહ મંત્રાલય (એમએચએ)ના બંને કંટ્રોલ રૂમ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને તમામ શક્ય મદદ કરવામાં આવી રહી છે.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) એ પહેલેથી જ ત્રણ ટીમો તૈનાત કરી દીધી છે અને ગુવાહાટી અને પટનામાં વધારાની ટીમો સ્ટેન્ડબાય પર છે. બચાવ અને પુન:સ્થાપનાના પ્રયત્નોમાં રાજ્યને મદદ કરવા માટે સેના અને વાયુસેનાની પૂરતી સંખ્યામાં ટુકડીઓ તૈનાત કરવામાં આવી રહી છે.
BREAKING: AAP સાંસદ સંજય સિંહની ધરપકડ, દારૂ કૌભાંડમાં પૂછપરછ બાદ EDએ કરી આકરી કાર્યવાહી
11 ગુંબજ, 324 થાંભલા… નડિયાદમાં બનશે ગુજરાતનું સૌથી મોટું અક્ષરધામ મંદિર, જાણો શું હશે બીજું ખાસ?
ટનલમાં ફસાયેલા લોકોને બચાવવાનું કામ ચાલી રહ્યું છે
કેન્દ્રીય એજન્સીઓ અને સિક્કિમ સરકાર દ્વારા લેવામાં આવેલા રાહત અને બચાવ પગલાંની સમીક્ષા કરતા કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ચુંગથાંગ ડેમની ટનલમાં ફસાયેલા લોકો અને પ્રવાસીઓને સ્થળાંતર પ્રાથમિકતાના ધોરણે કરવામાં આવે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એનડીઆરએફની વધારાની ટીમો તૈનાત કરવામાં આવે અને ઓછામાં ઓછા સમયમાં માર્ગ, ટેલિકોમ અને વીજળીની કનેક્ટિવિટી પુન:સ્થાપિત કરવામાં આવે.