આવતીકાલથી નવું વર્ષ શરૂ થવાનું છે. ત્યારે અમદાવાદમાં સીજી રોડ અને એસજી હાઇવે પર સિંધુ ભવન રોડ પર મોટી સંખ્યામાં લોકો રાત્રે એકઠા થતા હોય છે. જેમાં ભીડને ધ્યાનમાં રાખી પંચવટી સર્કલથી સ્ટેડિયમ પાંચ રસ્તા સુધીનો આખો સીજી રોડ 31મી ડિસેમ્બરે સાંજે 6 વાગ્યાથી તમામ પ્રકારનાં વાહનો માટે બંધ રહેશે. તો વળી એક બીજી વાત એ પણ છે કે રાતે 8 વાગ્યાથી એસજી હાઇવે પર પકવાન ચાર રસ્તાથી સાણંદ સર્કલ સુધી એસજી હાઇવે તેમજ સર્વિસ રોડ પર વાહનોના પાર્કિંગ પર પ્રતિબંધ રહેશે. એ જ રીતે નેહરુનગર સર્કલથી શિવરંજની ચાર રસ્તા થઈ ઇસ્કોન સર્કલ સુધી પણ ખાનગી લક્ઝરી બસને આજે પાર્ક કરી શકાશે નહીં.
ઉલ્લેખનીય છે કે નવા વર્ષને આવકારવા માટે 31મી ડિસેમ્બરના રોજ રાત્રે 12 વાગ્યે અમદાવાદીઓ શહેરના સીજી રોડ અને એસજી હાઇવે પર પહોંચી જાય છે. મોટી સંખ્યામાં લોકોની ભીડ ભેગી થતી હોય છે. એને ધ્યાનમાં રાખી અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા કેટલાક રસ્તાઓ બંધ અને વાહનોના પાર્કિંગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જેનું દરેક જનતાએ ધ્યાન રાખવું જોઈએ જેથી મુશ્કેલીનો સામનો કરવો ન પડે. પંચવટી સર્કલથી સ્ટેડિયમ પાંચ રસ્તા સુધીનો આખો સીજી રોડ 31મી ડિસેમ્બરે સાંજે 6 વાગ્યાથી ખાસ કારણ વગર તમામ પ્રકારનાં વાહનો માટે બંધ રહેશે.
સાથે જ તમને જણાવી દઈએ કે સીજી રોડ પર આવેલા સમર્થેશ્વર મહાદેવથી ગુલબાઈ ટેકરા તરફ જવાના અને ગિરીશ કોલ્ડડ્રિંકથી મીઠા કડી સર્કલ તરફ જવાના જે સામસામે ક્રોસ રોડ આવેલા છે એ ક્રોસ રોડ કરીને જઈ શકાશે, પરંતુ સીજી રોડ પર કોઈપણ પ્રકારનાં વાહનોની અવરજવર એક જાન્યુઆરી 2023ના રાત્રે 3 વાગ્યા સુધી થઈ શકશે નહીં. એસજી હાઇવે પર અને સિંધુ ભવન રોડ પર પણ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય છે. એને ધ્યાનમાં રાખી પકવાન ચાર રસ્તાથી સાણંદ સર્કલ સુધી અને સર્વિસ રોડ પર સાંજે 7 વાગ્યાથી વાહનોના પાર્કિંગ પર પ્રતિબંધ રહેશે.