World News : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે (Mohan Bhagwat) પણ ઇઝરાયલ અને હમાસ વચ્ચેની લડાઈ (Israel Hamas War) અંગે નિવેદન આપ્યું છે. ભાગવતે 21 ઓક્ટોબરના રોજ કહ્યું હતું કે હિંદુ ધર્મ તમામ સંપ્રદાયોનું સન્માન કરે છે અને આજે હમાસ-ઇઝરાયેલ યુદ્ધ તરફ દોરી ગયેલા મુદ્દાઓને લઈને ભારતમાં ક્યારેય લડાઈ થઈ નથી. મોહન ભાગવત (Mohan Bhagwat) નાગપુરની એક શાળામાં છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકના ૩૫૦ વર્ષ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.
માત્ર હિંદુ ધર્મ એક એવો ધર્મ છે જે…
“આ દેશમાં એક ધર્મ, સંસ્કૃતિ છે જે તમામ સંપ્રદાયો અને ધર્મોનું સન્માન કરે છે. એ હિંદુ ધર્મ છે. આ હિન્દુઓનો દેશ છે. એનો અર્થ એ નથી કે આપણે બીજા બધા (ધર્મો)ને નકારી કાઢીએ છીએ. અહીં જ્યારે તમે હિન્દુ કહો છો ત્યારે મુસ્લિમોને પણ રક્ષણ આપવામાં આવ્યું છે એમ કહેવાની જરૂર નથી. માત્ર હિન્દુઓ જ આવું કરે છે. માત્ર ભારત જ આવું કરે છે. બીજા દેશોમાં આવું થતું નથી.”
“બધે જ અથડામણો થાય છે. તમે યુક્રેન યુદ્ધ, હમાસ-ઇઝરાયલ યુદ્ધ વિશે સાંભળ્યું જ હશે. આપણા દેશમાં આવા મુદ્દાઓ પર ક્યારેય યુદ્ધ થયું નથી. શિવાજી મહારાજના સમયમાં થયેલો હુમલો પણ આ જ પ્રકારનો હતો. પરંતુ અમે આ મુદ્દે ક્યારેય કોઈની સાથે લડ્યા નથી. તેથી જ અમે હિન્દુ છીએ.”