Railway Cleaning: રેલ મુસાફરો માટે સારા સમાચાર છે! હવે લાંબી દૂરીની ટ્રેનોમાં ગંદકી ભૂતકાળ બનશે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે મુસાફરોની સુવિધા માટે ‘પ્રોફેશનલ ક્લિનિંગ’ અને રેલવેની જમીનનો બિઝનેસ માટે ઉપયોગ કરવાની નવી યોજના જાહેર કરી છે.

ભારતીય રેલવે હવે ટેકનોલોજીથી સજ્જ પ્રોફેશનલ ટીમ દ્વારા ટ્રેનોની સફાઈ કરાવશે. રેલ મંત્રીએ જણાવ્યું કે, અત્યાર સુધી માત્ર નિર્ધારિત સ્ટેશનો પર જ સફાઈ થતી હતી, પરંતુ હવે નવી વ્યવસ્થા હેઠળ ટ્રેનમાં હાજર ટ્રેન્ડ કર્મચારીઓ દર કલાકે અથવા જરૂર પડે ત્યારે તરત જ સફાઈ કરશે. જનરલ કોચ સહિત તમામ ડબ્બા, શૌચાલય અને બેસિનની સફાઈ પર રીઅલ-ટાઇમ મોનિટરિંગ રાખવામાં આવશે.

આ સુવિધામાં કચરો એકઠો કરવો, નાની-મોટી મરામત અને પાણી ભરવા જેવી બાબતોનું સંકલન પણ સામેલ હશે. શરૂઆતમાં લાંબી દૂરીની 80 ટ્રેનોમાં આ સર્વિસ શરૂ કરવામાં આવશે અને બાદમાં તમામ ટ્રેનોમાં તેનો અમલ થશે. આ માટે ખાસ કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવશે.
બીજી તરફ, રેલવે પોતાની વધારાની જમીનનો ઉપયોગ માલસામાનની સુવિધા વધારવા માટે કરશે.

રેલવેની ખાલી જમીન પર હવે ગોદામો, પ્રોસેસિંગ યુનિટ્સ અને ગ્રાઇન્ડિંગ યુનિટ્સ બનાવવાની મંજૂરી અપાશે. ઓછા વપરાશમાં લેવાતા ગોદામોને ‘ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ’ તરીકે વિકસાવવામાં આવશે, જેથી રેલવેની માલધૂલાઈની આવકમાં મોટો વધારો થઈ શકે.
રેલવેના નવા ફેરફારો એક નજરે
દર કલાકે સફાઈ: ટ્રેન દોડતી હશે ત્યારે જ મુસાફરોની હાજરીમાં સફાઈ થશે.
પ્રોફેશનલ ટીમ: સફાઈ માટે ખાસ તાલીમબદ્ધ કર્મચારીઓની નિમણૂક.
80 ટ્રેનોથી શરૂઆત: પ્રથમ તબક્કામાં પસંદગીની ટ્રેનોમાં અમલ.
નવા ગોદામો: રેલવેની જમીન પર બિઝનેસ સેન્ટર્સ અને સ્ટોરેજ સુવિધા.
ગતિ શક્તિ ટર્મિનલ: માલવાહક ક્ષમતા વધારવા માટે જૂના ગોદામોનું નવીનીકરણ.