Shubhman Gill: ભારતીય ક્રિકેટના ઉભરતા સિતારા અને ટેસ્ટ-વનડેના કેપ્ટન શુભમન ગિલને આગામી T20 વર્લ્ડ કપ 2026ની ટીમમાં સ્થાન મળ્યું નથી. ખરાબ ફોર્મને કારણે સિલેક્ટર્સે તેમને બહાર રાખ્યા છે, જેના પર પહેલીવાર ગિલે પોતાની ચુપકીદી તોડી છે. ન્યુઝીલેન્ડ સામેની વનડે સિરીઝ પહેલા ગિલે ભાવુક નિવેદન આપીને સૌના દિલ જીતી લીધા છે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે ગીલને તેની પસંદગી ન થવા અંગે સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે જાણો ગીલે શું જવાબ આપ્યો
પસંદગીકારોના નિર્ણય પર ગિલનું દિલ જીતનારું નિવેદન
T20 વર્લ્ડ કપની ટીમમાં પસંદગી ન થવા છતાં શુભમન ગિલે અત્યંત પરિપક્વતા દર્શાવી છે. પ્રેસ કોન્ફરન્સમાં તેણે કહ્યું, “હું પસંદગીકારોના નિર્ણયનું સન્માન કરું છું. જે મારા નસીબમાં લખ્યું છે, તે કોઈ છીનવી શકતું નથી. હું અત્યારે ત્યાં જ છું જ્યાં મારે હોવું જોઈએ.” તેણે ભારતીય ટીમને વર્લ્ડ કપ માટે શુભેચ્છાઓ પાઠવી અને સ્વીકાર્યું કે એક ખેલાડી તરીકે તે હંમેશા દેશ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા ઈચ્છે છે.

વનડે સિરીઝમાં ‘રો-કો‘ (Rohit-Kohli) ની ધમાકેદાર વાપસી
ભલે ધ્યાન T20 વર્લ્ડ કપ પર હોય, પરંતુ ન્યુઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી મુખ્ય આકર્ષણ રહેશે. વિજય હજારે ટ્રોફીમાં શાનદાર ફોર્મ બતાવ્યા બાદ આ બંને દિગ્ગજો કીવી ટીમ સામે મેદાનમાં ઉતરશે. ગિલની વાપસીથી ઓપનિંગમાં યશસ્વી જાયસ્વાલની જગ્યા જોખમમાં આવી શકે છે, કારણ કે ટીમ મેનેજમેન્ટ ગિલને ઓપનિંગમાં ઉતારવા માંગે છે.

ટીમ ઇન્ડિયાનું નવું કોમ્બિનેશન અને બોલિંગ એટેક
શ્રેયસ અય્યરની વાપસીથી મધ્યમ ક્રમ (નંબર-4) મજબૂત બનશે, જ્યારે કે.એલ.રાહુલ વિકેટકીપર તરીકે નીચેના ક્રમે રમવાનું ચાલુ રાખશે. બુમરાહ અને હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો હોવાથી ફાસ્ટ બોલિંગની કમાન મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ અને હર્ષિત રાણાના ખભા પર રહેશે. સ્પિન વિભાગમાં કુલદીપ અને જાડેજાની જોડી ફરી એકવાર કમાલ કરવા તૈયાર છે.