T20 Series 2026: ન્યૂઝીલેન્ડ સામે રમાનારી T20 સિરીઝ પહેલા ટીમ ઇન્ડિયામાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. ઈજાને કારણે ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર T20 સિરીઝમાંથી બહાર થયા છે, જ્યારે પસંદગી સમિતિએ બે મોટા નામોને ફરી ટીમમાં સામેલ કર્યા છે.
વોશિંગ્ટન સુંદરને વડોદરામાં રમાયેલી પ્રથમ વનડે મેચ દરમિયાન બોલિંગ કરતી વેળાએ પાંસરીના ભાગમાં દુખાવો થયો હતો. તપાસમાં સાઈડ સ્ટ્રેનની પુષ્ટિ થતાં BCCIની મેડિકલ ટીમે તેમને આરામની સલાહ આપી છે. હવે તેઓ આગળની સારવાર માટે બેંગલુરુ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સમાં રિપોર્ટ કરશે.

આ પરિસ્થિતિ વચ્ચે શ્રેયસ અય્યર અને રવિ બિશ્નોઇની ટીમ ઇન્ડિયામાં વાપસી થઈ છે. શ્રેયસ અય્યર બે વર્ષ બાદ T20 ટીમમાં પરત ફર્યા છે. તેઓ તિલક વર્માની જગ્યાએ સિરીઝના પ્રથમ ત્રણ મેચ માટે ઉપલબ્ધ રહેશે. શ્રેયસે અત્યાર સુધી 51 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 1100થી વધુ રન બનાવ્યા છે.
તે સાથે જ લેગ-સ્પિનર રવિ બિશ્નોઇને વોશિંગ્ટન સુંદરના સ્થાને તમામ પાંચ T20 મેચ માટે સ્ક્વોડમાં સામેલ કરવામાં આવ્યા છે. બિશ્નોઇની આક્રમક બોલિંગ મધ્ય ઓવર્સમાં ટીમ માટે મહત્વની સાબિત થઈ શકે છે. તેમણે અત્યાર સુધી 42 T20 મેચોમાં 61 વિકેટ ઝડપી છે.


ન્યૂઝીલેન્ડ સામે ભારત અને પાંચ મેચોની T20 સિરીઝ 21 જાન્યુઆરીથી શરૂ થશે. આ સિરીઝમાં સૂર્યકુમાર યાદવ ટીમની કમાન સંભાળશે, જ્યારે અક્ષર પટેલ ઉપકપ્તાન રહેશે. આ સિરીઝને આવતા T20 વર્લ્ડ કપ 2026ની તૈયારી તરીકે પણ જોવામાં આવી રહી છે.