‘Jai Ho ‘AR Rahman RGV Viral Video: ઇન્ટરનેટ મીડિયા ના યુગમાં કોઈ પણ વિવાદ માત્ર વર્તમાન સુધી સીમિત રહેતો નથી. ભૂતકાળના કિસ્સા, નિવેદનો અને ઈન્ટરવ્યૂ ફરી સપાટી પર આવી જાય છે. તાજેતરમાં સંગીતકાર એઆર રહમાનના એક નિવેદન બાદ આવું જ બન્યું, જ્યારે ફિલ્મકાર રામ ગોપાલ વર્મા (આરજીવી)નો વર્ષો જૂનો ઈન્ટરવ્યૂ સોશિયલ મીડિયા પર વાયરલ થયો. આ વાયરલ ક્લિપે ફરી એકવાર ઓસ્કર વિજેતા ગીત ‘જય હો’ ને લઈને ચર્ચાનું તોફાન ઊભું કર્યું.

વાયરલ વીડિયોમાં આરજીવી કહેતા દેખાય છે કે ‘સ્લમડોગ મિલિયનેર’નું સુપરહિટ ગીત ‘જય હો’ એઆર રહમાને નહીં પરંતુ ગાયક સુખવિંદર સિંહે કમ્પોઝ કર્યું હતું. આ નિવેદન બહાર આવતા જ સોશિયલ મીડિયા પર તીવ્ર પ્રતિક્રિયાઓ શરૂ થઈ ગઈ અને વિવાદ ઝડપથી ફેલાયો.
વિવાદ વધતા આરજીવીને ખુદ આગળ આવીને સ્પષ્ટતા કરવી પડી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લાંબી પોસ્ટમાં કહ્યું કે તેમના શબ્દોને સંદર્ભ વિના રજૂ કરવામાં આવ્યા છે. આરજીવીએ ખુલ્લેઆમ લખ્યું કે એઆર રહમાન તેમના માટે માત્ર મહાન સંગીતકાર જ નહીં, પરંતુ એક શ્રેષ્ઠ માનવી પણ છે અને તેઓ ક્યારેય કોઈ બીજાનું શ્રેય લે તેવા વ્યક્તિ નથી.
To all concerned .. I am being misquoted and misread out of context in the matter of the Jai ho song . .. in my view @arrahman is the greatest composer and the nicest human being I ever met and he’s the last person to take away anybody’s credit ..I hope this puts an end to the…
— Ram Gopal Varma (@RGVzoomin) January 21, 2026
આ વાયરલ વિડીયોમાં આરજીવીએ ફિલ્મ ‘યુવરાજ’ના સેટનો એક જૂનો પ્રસંગ વર્ણવ્યો હતો, જેમાં સુખવિંદર સિંહ દ્વારા ગાયેલ એક ગીતનો ઉલ્લેખ હતો. તેમના જણાવ્યા અનુસાર, એ ગીત પાછળથી ‘જય હો’ બની ગયું હોવાનો દાવો થયો, પરંતુ આ વાતને સુખવિંદર સિંહ પોતે વર્ષ 2024માં નકારી ચૂક્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે ‘જય હો’નું સંગીત સંપૂર્ણપણે એઆર રહમાનનું છે અને તેમણે માત્ર અવાજ આપ્યો હતો.
‘જય હો’ માત્ર એક ગીત નથી, પરંતુ ભારતીય સંગીતને વૈશ્વિક ઓળખ આપનાર ઐતિહાસિક રચના છે. આ વિવાદ એકવાર ફરી બતાવે છે કે સોશિયલ મીડિયા પર અધૂરા સંદર્ભો કેવી રીતે મોટો ફિલ્મી ડ્રામા ઊભો કરી શકે છે.