Delhi High Court Rajpal Yadav: પડદા પર દુનિયાને હસાવનારા રાજપાલ યાદવની મુશ્કેલીઓ હવે ગંભીર બની છે. ચેક બાઉન્સના જૂના કેસમાં દિલ્હી હાઈકોર્ટે એક્ટરને મોટો ઝટકો આપતા શરણાગતિ માટે વધુ સમય આપવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે હવે કોઈ પણ સંજોગોમાં એક્ટરે જેલ જવું જ પડશે.

ઘટનાની વિગતો
રાજપાલ યાદવ માટે બુધવારનો દિવસ કાળો સાબિત થયો છે. દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ એક્ટરની તે અરજી ફગાવી દીધી જેમાં તેમણે શરણાગતિ (Surrender) માટે એક અઠવાડિયાનો વધુ સમય માંગ્યો હતો. એક્ટરના વકીલે દલીલ કરી હતી કે 50 લાખ રૂપિયાની વ્યવસ્થા થઈ ગઈ છે, પણ કોર્ટે આ દલીલને ફગાવી દીધી. જસ્ટિસે ટકોર કરી કે અગાઉ બે દિવસનો સમય માત્ર એટલા માટે અપાયો હતો કારણ કે એક્ટર મુંબઈમાં હતા. હવે 4 ફેબ્રુઆરીએ સાંજે 4 વાગ્યા સુધીમાં સરેન્ડર કરવું અનિવાર્ય હતું, જેનો અર્થ છે કે હવે રાજપાલ યાદવે જેલના સળિયા પાછળ જવું પડશે.

આ સમગ્ર વિવાદ વર્ષ 2010નો છે, જ્યારે રાજપાલે પોતાની ફિલ્મ ‘અતા પતા લાપતા’ બનાવવા માટે મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી 5 કરોડ રૂપિયાનું દેવું લીધું હતું. કમનસીબે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી અને એક્ટર આ રકમ ચૂકવી શક્યા નહીં. કંપનીએ આરોપ લગાવ્યો છે કે રાજપાલે પેમેન્ટ માટે જે ચેક આપ્યા હતા તે વારંવાર બાઉન્સ થયા છે. કોર્ટે એક્ટરની એ વાત માટે નિંદા કરી કે તેમણે વારંવાર ખાતરી આપવા છતાં કોર્ટનો ભરોસો તોડ્યો છે અને લેણદારોને પૈસા ચૂકવ્યા નથી.
જણાવી દઈએ કે અગાઉ આ કેસમાં રાજપાલ યાદવને 6 મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી હતી. જોકે, બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ શકે તે માટે હાઈકોર્ટે સજા રદ કરી હતી, પણ રાજપાલ યાદવ નક્કી કરેલી સમયમર્યાદામાં રકમ ચૂકવવામાં નિષ્ફળ રહ્યા. હવે કોર્ટે આકરી કાર્યવાહી કરતા પૂર્વમાં જમા કરાયેલી રકમ કંપનીને રિલીઝ કરવાના આદેશ આપ્યા છે. હવે 5 ફેબ્રુઆરીએ આ મામલે આગામી સુનાવણી હાથ ધરાશે, પરંતુ ત્યાં સુધીમાં એક્ટરે જેલની હવા ખાવી પડશે.