અમેરિકામાં ગેરકાયેદસર ઘુસવા મામલે મોટો ઘટસ્ફોટ, આ રીતે પોલીસને ઉલ્લુ રમાડી ચાલતી હતી આખી સિંડીક

Lok Patrika
By Lok Patrika
Share this Article

કેનેડા-અમેરિકાની બોર્ડર પર ગુજરાતી પરિવારના ચાર લોકોના ઠંડીથી મોત પછી ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસણખોરીનો મુદ્દો ભારે ચર્ચામાં છે. આ મામલે ગુજરાત, કેનેડા અને અમેરિકાની પોલીસ તપાસ કરી રહી છે. દરમિયાનમાં અમેરિકાએ ગેરકાયદેસર ઘૂસેલા ૭ લોકોની ચારેક દિવસ પહેલા ધરપકડ કરી છે અને જાણવા મળ્યા મુજબ તે તમામે અમેરિકા પોલીસને ખોટા નામ જણાવ્યા હોવાથી મામલો ગૂંચવાયો છે. અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવાનો પ્રયાસ કરવા દરમિયાન કેનેડા બોર્ડરે ઠંડીમાં ઠુંઠવાઈ જતા ગુજરાતી પરિવારના ૪ લોકોના મોત થઈ ગયા હતા. જેમાં બે નાના બાળકો પણ હતા.

આ મામલો સામે આવ્યા પછી અમેરિકામાં ભારતીયોની ગેરકાયદેસર ઘૂસણખોરી ચર્ચાનો વિષય બની ગઈ છે. તેમાંય ખાસ કરીને ગુજરાતીઓની ગમે તેમ કરીને અમેરિકા જવાની ઘેલછા વધુ ચર્ચામાં આવી છે. કેનેડા બોર્ડરે મોતને ભેંટેલો ગુજરાતી પરિવાર કલોલ પાસેની ડીંગુચા ગામનો હોવાનું જણાવાઈ રહ્યું છે. આ લોકો વિઝિટર વિઝા પર દુબઈથી કેનેડા પહોંચ્યા હતા અને ત્યાંથી ગેરકાયદેસર અમેરિકા ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને એ દરમિયાન તેમનું ઠંડીથી મોત થઈ ગયું હતું. આ મામલે તેમજ ગુજરાતમાંથી અમેરિકા જવા નીકળેલા અને ગુમ થઈ ગયા હોવાની ફરિયાદ જેમના પરિવારે કરી છે.

તેવા લોકોની તપાસ ગુજરાતની સીઆઈડી કરી રહી છે. જ્યારે કેનેડામાં ચાર લોકોના મોત થયા તેની ઓળખ કરવાની કાર્યવાહી કેનેડા પોલીસે હાથ ધરી છે અને ગેરકાયદેસર રીતે કેનેડાથી બોર્ડરથી અમેરિકામાં ઘૂસતા પકડાયેલા ૭ લોકોના મામલે અમેરિકા પોલીસ તપાસ કરી રહી છે. એક ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ, ગુજરાત સીઆઈડીને જાણવા મળ્યું છે કે, આ ૭ લોકોએ અમેરિકાની પોલીસને પોતાની ખોટી ઓળખ આપી છે. આ લોકો પાસે પોતાની ઓળખનો એક પણ સાચો પુરાવો નથી. એ બધાએ પોતાના ખોટા નામ અને સરનેમ લખાવી છે. જેથી આ મામલો ગૂંચવાયો છે. પકડાયેલા ૭ લોકોમાંથી એક પ્રિન્સ નામનો યુવક ગાંધીનગર નજીકના બદરપુરાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

જેણે પોતાની અટક પટેલ જણાવી છે, પરંતુ તેની સાચી અટક ચૌધરી હોવાનું જાણવા મળ્યું છે. આમ, આ લોકોએ પોતાની સાચી ઓળખ ન જણાવતા મામલો વધુ ગૂંચવાયો છે. ગુજરાત પોલીસ સતત અમેરિકા અને કેનેડાની એમ્બેસી સાથે સંપર્કમાં છે, પરંતુ ખોટા નામોને કારણે તપાસમાં આગળ વધારવામાં મુશ્કેલી આવી રહી છે. આ ઉપરાંત ડીંગુચાના જે ચાર લોકોના કેનેડા બોર્ડરે મોત થયા છે, તે સાચા વિઝા લઈને કેનેડા પહોંચ્યા હતા કે નકલી વિઝા લઈને તે અંગે પણ ગુજરાત સીઆઈડીએ તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, કેનેડા બોર્ડર પર ગુજરાતના ચાર લોકોનો મોતનો મામલો સામે આવ્યા બાદ ગુજરાતીઓની અમેરિકા જવાની ઘેલછાને લઈને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ટિપ્પણી કરી હતી કે, અહીં પૂરતી તકો મળતી ન હોવાથી અહીંના છોકરાઓ અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસી રહ્યા છે. તો બીજી તરફ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ વાતનો આડકતરી રીતે જવાબ આપતા કહ્યું હતું કે, ગુજરાતમાં પૂરતી તકો છે. આમ, આ મામલો હવે રાજકીય મુદ્દો પણ બનતો જઈ રહ્યો છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly