પ્રિન્સ ચાવલા: આજના ટેક્નોલોજી યુગમાં બાળકો માત્ર ગોખણિયા અને પુસ્તક આધારિત ભણતર સુધી સીમિત ન રહે, પરંતુ રમત, કલા અને પ્રવૃત્તિઓ દ્વારા શીખે તે હેતુસર કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા એક મહત્વની નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં સરકાર દ્વારા રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા તેમજ ધોરણ 1અને 2 ના બાળકો માટે “જાદુઈ પીટારા” આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

આ પહેલ હેઠળ રાજ્યની 74 હજારથી વધુ સરકારી શાળાઓમાં જાદુઈ પીટારા વિતરણ કરવામાં આવશે, જેના થકી અંદાજે 12.35 લાખથી વધુ વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે. આ યોજના દ્વારા બાળકોને ભાર વિનાનું, આનંદદાયી અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ આપવાનો મુખ્ય ઉદ્દેશ રાખવામાં આવ્યો છે.
શિક્ષણ વિભાગની યાદી અનુસાર, ગોખણિયા શિક્ષણને બદલે પ્રવૃત્તિલક્ષી શિક્ષણ આપનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે. બાલવાટિકા તથા ધોરણ 1અને 2 ના વિદ્યાર્થીઓ માટે આ પહેલ પાયાના શિક્ષણને વધુ મજબૂત બનાવશે.
આ યોજના નેશનલ એજ્યુકેશન પોલિસી 202૦ અને નિપુણ ભારત મિશનના લક્ષ્યોને ધ્યાને લઈને અમલમાં મૂકવામાં આવી છે. NCERT અને ભારત સરકાર દ્વારા તૈયાર કરાયેલા આ જાદુઈ પીટારા બાળકોમાં સમજ, વિચારશક્તિ અને સર્જનાત્મકતાનો વિકાસ કરે તે રીતે રચાયેલા છે.
ટોય બેઝ પેડાગોજી પર આધારિત આ પીટારામાં રમત, કલા, સંગીત, નવાચાર, પ્રવૃત્તિ-પ્રોજેક્ટ, સહપાઠી શિક્ષણ અને મૂલ્યાંકન સહિત ૩૦ જેટલી શૈક્ષણિક સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં સંગીત અને રમતના સાધનો, પપેટ્સ, મણકા, શૈક્ષણિક રમકડાં, પઝલ અને રસોડા સેટ જેવી સામગ્રી સામેલ છે.
આ પહેલથી બાળકો ઉપરાંત શિક્ષકોને પણ લાભ મળશે. વર્ગખંડને વધુ અસરકારક અને જીવંત બનાવવા માટે શિક્ષકોને વિવિધ શૈક્ષણિક સંસાધનો પૂરા પાડવામાં આવી રહ્યા છે.
પાયાના શિક્ષણને મજબૂત બનાવી, બાળકોમાં શીખવાની રુચિ વિકસાવવા માટે શરૂ કરાયેલી “જાદુઈ પીટારા” યોજના રાજ્ય સરકારની એક મહત્વપૂર્ણ અને દિશાદર્શક પહેલ બની રહી છે.