Bangladesh High Commision: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યાના વિરોધમાં આજે દિલ્હીમાં એટલો ભારે આક્રોશ જોવા મળ્યો કે પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર બેરિકેડ્સ તોડવાનો પ્રયાસ કર્યો હતો અને આ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું, જેને પગલે હાલ ત્યાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
રાજધાની દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશનની બહાર મોટું પ્રદર્શન થઈ રહ્યું છે. ઢાકામાં હિન્દુ યુવકની હત્યાના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને જોરદાર સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. લોકોના પ્રદર્શનને જોતા પોલીસે બાંગ્લાદેશ હાઈ કમિશનની બહાર સુરક્ષા વધારી દીધી છે.
બેરિકેડિંગ હટાવવાનો પ્રયાસ
આ દરમિયાન ભીડે સુરક્ષા માટે લગાવવામાં આવેલા પોલીસના બેરિકેડિંગ પણ હટાવવાનો પ્રયાસ કર્યો હતો. બાંગ્લાદેશ હાઈ કમિશનની બહાર એકઠી થયેલી ભીડ ઢાકામાં થયેલી ઘટનાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી રહી છે. આ પ્રદર્શનમાં વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુ સંગઠનોના કાર્યકરો પણ સામેલ છે.
#WATCH | Delhi | Members of Vishva Hindu Parishad and other Hindu organisations protest near the Bangladesh High Commission over the atrocities against Hindus and the mob lynching of Dipu Chandra Das in Bangladesh pic.twitter.com/0nrtZ3XWYG
— ANI (@ANI) December 23, 2025
પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક
જોકે, આ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ પહેલેથી જ સતર્ક હતી. દિલ્હી પોલીસે બાંગ્લાદેશ હાઈ કમિશનની બહાર સુરક્ષાના કડક બંદોબસ્ત ગોઠવી દીધા છે જેથી કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના ન બને. બાંગ્લાદેશમાં થયેલી ઘટનાનો રોષ લોકોના ચહેરા પર સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો.
ભીડે બેરિકેડિંગ હટાવવાનો પ્રયાસ કર્યો
આ દરમિયાન ભીડ દ્વારા બેરિકેડિંગ હટાવવાનો પણ પ્રયાસ કરવામાં આવતા પોલીસ સાથે તેમની હળવી ઝપાઝપી પણ થઈ હતી. પોલીસે ભીડમાં હાજર લોકોને બેરિકેડની બીજી તરફ જતાં રોકવા માટે મથામણ કરી હતી.આ બાજુ પોતાના હાથમાં પ્લેકાર્ડ લઈને લોકો બાંગ્લાદેશની સત્તા અને કટ્ટરપંથી તાકાતો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. આ પ્રદર્શન દરમિયાન કેટલાક લોકો બેરિકેડિંગ પર ચઢીને હનુમાન ચાલીસાના પાઠ કરતા પણ જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં વિદ્યાર્થી વિદ્રોહના પ્રમુખ નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યા બાદ ત્યાં હિંસા ફાટી નીકળી હતી. આ દરમિયાન ઈશનિંદાના આરોપમાં હિન્દુ સમુદાયના એક યુવક દીપુ ચંદ્ર દાસ (૨૫)ની માર મારીને હત્યા કરવામાં આવી હતી અને તેના મૃતદેહને આગ ચાંપી દેવામાં આવી હતી. દીપુ ચંદ્ર દાસ મેમનસિંહ શહેરમાં એક ફેક્ટરીમાં કામ કરતો હતો. ભીડ ફેક્ટરીની બહાર એકઠી થઈ હતી અને દીપુ ચંદ્ર દાસને બહાર કાઢીને ત્યાં સુધી માર માર્યો જ્યાં સુધી તેનું મોત ન થયું. ત્યારબાદ ભીડે તેના મૃતદેહને ઝાડ પર લટકાવી દીધો અને આગ લગાવી દીધી હતી.