Business NEWS: કોઈ તેની ટ્રેન ચૂકવા માંગતું નથી. પરંતુ, ઘણા મુસાફરો ટ્રાફિકમાં ફસાઈ જવાને કારણે અથવા ઘરના અગત્યના કામને કારણે ટ્રેન ચૂકી જાય છે. ઘણી વખત ભારે ભીડને કારણે મુસાફરો ટ્રેનમાં ચઢી શકતા નથી. ટ્રેન ચૂકાય ગયા પછી દરેક વ્યક્તિના મનમાં એક જ પ્રશ્ન આવે છે કે શું આપણે આપણી હાલની ટિકિટ પર આગળની ટ્રેનમાં બેસી શકીશું? અથવા અમારે ફરીથી નવી ટિકિટ ખરીદવી પડશે.
જો તમે ટ્રેન ચૂકી જાઓ છો તો તમે તે જ ટિકિટ સાથે આગલી ટ્રેનમાં મુસાફરી કરી શકશો કે નહીં તે તમારી પાસે કયા વર્ગની ટિકિટ છે તેના પર નિર્ભર છે. ભારતીય રેલ્વેની ટિકિટ ફક્ત તે ટ્રેન અને મુસાફરીના વર્ગ માટે માન્ય છે જેના માટે તે બુક કરવામાં આવી છે. મતલબ કે સ્પેશિયલ ટ્રેનની ટિકિટનો ઉપયોગ બીજી ટ્રેનમાં ચઢવા માટે કરી શકાતો નથી.
જો કે, ‘તત્કાલ’ ટિકિટ અને ‘પ્રીમિયમ તત્કાલ’ ટિકિટ ધરાવનારા મુસાફરોને અમુક શરતોને આધિન તે જ દિવસે બીજી ટ્રેનમાં ચઢવાની મંજૂરી આપવામાં આવે છે. જો તમારી પાસે સામાન્ય ટિકિટ છે, તો પ્રથમ ટ્રેન ચૂકી ગયા પછી તમે તે જ ટિકિટ સાથે આગામી પેસેન્જર ટ્રેનમાં મુસાફરી કરી શકો છો.
તમારે દંડ ભરવો પડી શકે છે
જો તમે સામાન્ય રીતે ટિકિટ આરક્ષિત કરી હોય, એટલે કે તત્કાલ અથવા પ્રીમિયમ તત્કાલ ટિકિટ નહીં અને બીજી ટ્રેનમાં ચડ્યા હોવ, તો તમને ટિકિટ વિનાના પેસેન્જર ગણવામાં આવશે. જો TTE તમને પકડે છે તો તમારે દંડ ચૂકવવો પડી શકે છે. જો તમારે મુસાફરી કરવી હોય તો તમારે બીજી રિઝર્વ ટિકિટ બુક કરવી પડશે.
જો તમે ટ્રેન ચૂકી જાઓ તો તમને રિફંડ મળશે
erail.in પર આપવામાં આવેલી માહિતી અનુસાર જો તમે જે ટ્રેનમાં મુસાફરી કરવા જઈ રહ્યા છો તે ચૂકી જાઓ છો, તો તે સ્થિતિમાં તમને ટિકિટના પૈસા પાછા મળી શકે છે. રિફંડ મેળવવા માટે ટિકિટ કેન્સલ કરવાની જરૂર નથી. આ માટે તમારે TDR ભરવાનો રહેશે.
જાણી લેજો: 1 માર્ચથી ફાસ્ટેગથી GST સુધીના નિયમો બદલાશે, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
તમે ચાર્ટિંગ સ્ટેશનથી ટ્રેન ઉપડવાના એક કલાકની અંદર જ TDR ફાઇલ કરી શકો છો. રેલવેના નિયમો અને શરતો અનુસાર તમને રિફંડ આપવામાં આવશે. તમારે મુસાફરી ન કરવા માટેના કારણો પણ આપવા પડશે. ધ્યાનમાં રાખવાની વાત એ છે કે જો તમે ચાર્ટ તૈયાર થયા પછી ટિકિટ કેન્સલ કરશો તો તમને રિફંડ નહીં મળે.