Cricket Team: ટીમ ઈન્ડિયાનો અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિન ઈંગ્લેન્ડ વિરુદ્ધ ધર્મશાલામાં પોતાની 100મી ટેસ્ટ મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. ભારત માટે અત્યાર સુધી 99 ટેસ્ટ રમી ચૂકેલા અશ્વિને આ ફોર્મેટમાં 500થી વધુ વિકેટ લીધી છે.
આવી સ્થિતિમાં આ 100મી ટેસ્ટના ખાસ અવસર પર સમગ્ર ક્રિકેટ જગત અશ્વિનની આ ઐતિહાસિક ક્ષણની ઉજવણી કરી રહ્યું છે, પરંતુ પૂર્વ ભારતીય સ્પિનર લક્ષ્મણ શિવકરક્રિષ્નન અશ્વિનના વર્તનથી ખુશ નથી. શિવકરક્રિષ્નને સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે અશ્વિને તેના ફોન કોલ્સ ડિસ્કનેક્ટ કર્યા હતા અને તેની 100મી ટેસ્ટ પર તેને અભિનંદન આપતા તેના મેસેજનો પણ જવાબ આપ્યો ન હતો.
ભૂતપૂર્વ ભારતીય સ્પિનરે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘તેની 100મી ટેસ્ટ માટે શુભેચ્છા આપવા માટે તેને ઘણી વખત ફોન કરવાનો પ્રયાસ કર્યો. તેણે મારો કોલ ડિસ્કનેક્ટ કર્યો. તેને એક સંદેશ મોકલ્યો, જેનો કોઈ જવાબ મળ્યો ન હતો. ભૂતપૂર્વ ક્રિકેટરને આવું જ સન્માન મળે છે.
અશ્વિને ટેસ્ટમાં 507 વિકેટ ઝડપી છે
ભારત અને ઈંગ્લેન્ડ ગુરુવારથી ધર્મશાલામાં પાંચમી અને અંતિમ ટેસ્ટમાં સામસામે ટકરાશે, જે અશ્વિનની 100મી ટેસ્ટ પણ હશે. અત્યાર સુધીની 99 ટેસ્ટ મેચોમાં, અશ્વિને 23.91ની એવરેજથી 507 વિકેટ લીધી છે, જેમાં 7/59ના શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન સહિત 35 પાંચ વિકેટ ઝડપી છે. આ સિવાય અશ્વિને બેટિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. અશ્વિને ટેસ્ટમાં 26.14ની એવરેજથી 3,309 રન બનાવ્યા, જેમાં પાંચ સદી અને 14 અડધી સદી સામેલ છે. આ જ કારણ છે કે તે હાલમાં વિશ્વના સૌથી સફળ ઓલરાઉન્ડરોમાંનો એક માનવામાં આવે છે.
જો કોઈ એવું વિચારે કે ભારત તેના વિના જીતી શકતું નથી તો… ગાવસ્કરે કોહલીને મરચા લાગે એવી વાત કરી
ભારત શ્રેણીમાં 3-1થી આગળ
ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયા શ્રેણીની પ્રથમ મેચમાં હારી ગઈ હતી, પરંતુ ત્યારબાદ યજમાન ટીમે સતત ત્રણ ટેસ્ટ મેચ જીતીને અંગ્રેજોને ચોંકાવી દીધા હતા.