હવામાન વિભાગની આગાહી મુજબ વાત કરીએ તો નવરાત્રિમાં સામાન્ય વરસાદ તો રહેશે જ પણ જતાં જતાં વરસાદ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છાંટા પડશે. નવરાત્રિના દિવસો દરમ્યાન જ સામાન્ય વરસાદની આગાહી થતાં ગરબા ખેલૈયા પણ નિરાશ થતાં જોવા મળે છે. બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ બનશે. જેમાં આજે અને 24 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, મહિસાગર, દાહોદ, દમણ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ પડી શકે છે. ત્યારે હવે અંબાલાલની આગાહી મુજબ ગુજરાતમાં નવરાત્રીમાં વરસાદ પડવાની સંભાવના પૂરેપૂરી છે.
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદી ઝાટપાની શક્યતા છે. 26 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો આવશે અને જે બાદ 27 સપ્ટેમ્બરે કેટલાક ભાગોમાં પણ વરસાદ ખાબકી શકે છે. 28 સપ્ટે.થી 1 ઓક્ટોબર સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ અમી છાંટણા પડી શકે છે. 5 ઓક્ટોબર સુધી દરિયામાં ભારે પવન ફૂંકાશે. 10 ઓક્ટોબર બાદ બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણ સર્જાશે પણ ચોમાસાના વિદાયની શરૂઆત થઇ ગઇ છે. ચોમાસાના અંતિમ દિવસોમાં ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદની શક્યતા છે. 23 થી 25 સપ્ટેમ્બરમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે.