ઘણી ખમ્માં: રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે 1 લાખ 14 હજારથી વધુ દર્દીઓ માટે દેવદૂત સાબિત થતી 108 એમ્બ્યુલન્સ

Lok Patrika
By Lok Patrika
Share this Article

ગોપાલ મહેતા ( પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ ) : મોતના મુખમાં ઘકેલાઈ ગયેલા માણસને ફરી નવજીવન આપતી સંજીવની કદાચ માનવજાતિએ નથી જોઈ, પરંતુ આજના સમયમાં ગુજરાત સરકાર દ્વારા સંચાલિત ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાએ સંજીવની કરતા લગીરેય ઊણી ઊતરે એવી નથી. શહેર હોય કે ગામ, રાત હોય કે દિન, ટાઢ હોય કે તડકો આ સેવા શરૂઆતથી લઇને અત્યાર સુધીમાં અગણિત લોકોને નવજીવન આપી ચૂકી છે. અસંખ્ય લોકોના દુ:ખી ચહેરા પર જીવન આશાનું કિરણ રેલાવી ચૂકી છે અને હજુય અહર્નિશપણે એ જ માનવ સેવા દાયિત્વ નિભાવી રહી છે.

છેલ્લા ૨૯ દિવસથી રાજ્યભરમાં પડી રહેલા ભારે વરસાદની વચ્ચે પણ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાની ઊડીને આંખે વળગે એવી કામગીરી જોવા મળી રહી છે. છેલ્લા ૨૯ દિવસમાં જ ૧ લાખ ૧૪ હજારથી વધુ દર્દીઓ માટે ૧૦૮ એમ્બ્યુલન્સ દેવદૂત સાબિત થઇ છે.

૧૦૮ના સ્ટાફે કર્તવ્યનિષ્ઠા એવી ઉત્તમ રીતે નિભાવી છે કે આજે પણ ગુજરાતના કોઈ પણ ખૂણે આરોગ્યની મુસીબતની પળોમાંથી પસાર થઇ રહેલા લોકોને સંકટની ઘડીએ જ્યારે ઘરના આંગણે તાબડતોડ ૧૦૮ આવીને ઊભી રહે છે ત્યારે રાહતનો અહેસાસ થાય છે અને દિલમાંથી શબ્દો નીકળે છે કે હાશ! ૧૦૮ આવી ગઇ, હવે વાંધો નહી આવે.

ગુજરાતમાં આકસ્મિક પરિસ્થિતિમાં જીવાદોરી સમાન ૧૦૮ની સેવાથી રાજ્યના તમામ નાગરિકો વાકેફ છે. અકસ્માત, કુદરતી કે કૃત્રિમ આફતો વખતે માનવ જીવોના સંરક્ષણ માટે ૧૦૮ એમ્બ્યુલન્સની સેવા ખૂબ ઝડપી અને સંજીવની સમાન મનાય છે. ગુજરાતમાં ૨૦૦૭માં તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી હતી. આ ૧૦૮ની નિ:શુલ્ક સેવા આજે રાજ્યમાં આપાતકાલિન સ્થિતિમાં સંજીવની સમાન ગણાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૮૦૦થી વધુ એમ્બ્યુલન્સ દર્દીઓની સેવામાં રાત-દિવસ કાર્યરત છે. આ ઉપરાંત બે બોટ એમ્બ્યુલન્સ અને એક એર એમ્બ્યુલન્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

૧૦૮ જીવીકે ઈએમઆરઆઇના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશંવત પ્રજાપતિના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હાલના સમયમાં સમગ્ર રાજ્યના તમામ ૨૫૭ તાલુકા, ૧૮ હજાર જેટલાં ગામો, ૩૩ જિલ્લાઓ અને મહાનગરો સહિત તમામ જગ્યાએ આ ૧૦૮ની સેવાનું માળખું ફેલાયેલુ છે.

ગણતરીની મિનિટમાં ઘટનાસ્થળ પર પહોંચી ઇજાગ્રસ્ત, બીમાર કે ભોગ બનનાર વ્યક્તિ કે વ્યક્તિઓને પ્રાથમિક સારવાર પૂરી પાડવાનું કામ કરે છે. સગર્ભાઓને પ્રસૂતિ દરમિયાન ઝડપી ઘર સુધી પહોંચી મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડવાનું અને તેને પીડાવિહીન પ્રસૂતિ કરાવવામાં આ ૧૦૮ની સેવા ખૂબ મદદરૂપ બની છે.

રાજ્યમાં ૧૦૮ની એમ્બ્યુલન્સ સેવા શરૂ થયાથી આજ સુધીમાં ૧.૬૨ કરોડથી વધુ લોકોએ આ ૧૦૮ એમ્બ્યુલન્સની સેવાનો લાભ લીધો છે. રાજ્યમાં ખૂબ ગંભીર પરિસ્થિતિમાં ૧૦૮ના કર્મીઓની સમયસરની સેવાના કારણે ૧૫.૩૭ લાખ લોકોના જીવ બચાવવાનું મહામૂલું કાર્ય પણ થયું છે, તો ૧.૪૨ લાખથી વધુ મહિલાઓને સુખરૂપ પ્રસૂતિ પણ કરાવી શકાઇ છે. હાલમાં અંદાજે ૪ હજારથી વધુ ૧૦૮ કર્મીઓ સેવા આપી રહ્યા છે.

અદ્યતન સુવિધાઓ અને હાઇ ટેક્નોલોજીથી સજ્જ આ ૧૦૮ એમ્બ્યુલન્સ વાનના કારણે સમયસર કોલના સ્થળ પર પહોંચવામાં અને સતત મોનિટરિંગ કરવાના કારણે આ સેવા ખૂબ ઝડપી અને લોકોને પ્રાથમિક સારવાર આપવાથી માંડી તેને વધુ સારવાર અર્થે હોસ્પિટલ સુધી પહોંચાડવા સહિતની કામગીરી કરે છે.

૧૦૮ મોબાઇલ એમ્બ્યુલન્સ વાનમાં ખૂબ અદ્યતન ટેક્નોલોજીની વ્યવસ્થા, મેડિકલનાં સાધનો, દવાઓ, મશીનો અને વેન્ટિલેટર – ઓક્સિજન સહિતની સેવા અને ટ્રેનિંગબદ્ધ સ્ટાફ હોવાના કારણે પીડિત વ્યક્તિને તત્કાલિન સેવા મળી રહે છે. સમયસર સારવાર મળવાના કારણે વ્યક્તિનો જીવ પણ બચાવી શકાય છે.

ટેક્નોસેવી વ્યવસ્થાથી સજ્જ આ સેવાને વધુ પ્રભાવશાળી બનાવવા માટે ૧૦૮ ગુજરાત મોબાઇલ એપ પણ તૈયાર કરવામાં આવી છે. આ સમગ્ર ૧૦૮ સેવાનું મોનિટરિંગ માટેનું ઇમરજન્સી મોનિટરિંગ એન્ડ રિસ્પોન્સ સેન્ટર, અમદાવાદથી સંચાલિત થાય છે, જ્યાં રોજના અંદાજે ૭૦૦૦થી ૭૫૦૦ જેટલા કોલ્સ લેવામાં આવે છે.

VIDEO: લગ્ન પછી કેવી રીતે હનીમૂન મનાવે છે કિન્નરો, દરેક પ્રશ્નનોના જવાબ સાંભળો તેમના જ શબ્દોમાં

કયા ખાતામાં રાખેલા પૈસા સૌથી વધુ જોખમમાં છે? RBIએ જણાવ્યું અને બેંકોને પણ આપી ચેતવણી આપી

નીતિન ગડકરીએ ટોલને લઈને લીધો મોટો નિર્ણય, હાલની સિસ્ટમનો અંત લાવ્યો; કરી દીધી નવી જાહેરાત

ખરેખર, રાજ્યમાં આરોગ્યની સેવાને ખૂબ ઝડપી ઘર ઘર સુધી પહોંચાડવામાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા પીડિતને નવજીવન બક્ષનાર દેવદૂત સમાન બની ગઇ છે. ઈમરજન્સીના કેસમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સર્વિસ સંજીવની સમાન સાબિત થઈ છે, જે રાજ્ય સરકારની એક મોટી સફળતા છે.


Share this Article
TAGGED:
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly