વિરમગામ બેઠક પરથી ભાજપે પાટીદાર નેતા હાર્દિક પટેલને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે હાર્દિક પટેલે ઉમેદવારી ફોર્મ આજે મંગળવારે ભર્યું હતું. જોકે ફોર્મ ભરવા જતી વખતે જ હાર્દિકને ભાજપ કેટલો સાથ આપશે તેનો અનુભવ થયો હોય તેવો સીન સર્જાયો હતો. સૂત્રો અનુસાર વિરમગામ બેઠકથી હાર્દિક પટેલ ફોર્મ ભરવા જાય ત્યારે તેમની સાથે પૂર્વ મુખ્યમંત્રી સહિતના અગ્રણીઓ હાજર રહે તેમ તેવું આયોજન કરાયું હતું. જોકે છેલ્લી ઘડીએ કોણ જાણે કેમ શું થયું કે પાટીદાર નેતા હાર્દિક પટેલને ભાજપના દિગ્ગજ નેતાઓની ગેરહાજરીમાં જ ઉમેદવારી ફોર્મ ભરવાની નોબત આવી હતી.
પાટીદાર આંદોલન સમયે ભાજપને તથ અમિત શાહને ભાંડનારા યુવા નેતા હાર્દિક પટેલે મંગળવારે ભાજપની ટિકિટ પરથી વિરમગામ બેઠક માટે ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભરવા માટે વાજતે ગાજતે નિકળેલા હાર્દિક પટેલ સાથે સીન સર્જાયો હતો. આ અંગે બિનસત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હાર્દિક પટેલ જ્યારે ફોર્મ ભરવા જાય ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે છેલ્લી ઘડીએ સમગ્ર આયોજનને ફેરવી દેવામાં આવ્યું હતું. એક સમયે પાટીદાર સમાજ સાથે થયેલા અન્યાય બદલ ભાજપને ગાળો આપનાર યુવા નેતા હાર્દિક પટેલને ભાજપના દિગ્ગજ નેતાઓની ગેરહાજરીમાં જ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવું પડ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. હાર્દિક પટેલે ઉમેદવારી ફોર્મ ભરવા જતી વખતે જીપમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થનારા તેજશ્રીબેન સહિતના જ કેટલાક નેતાઓ જોવા મળતા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. આ વખતે ભાજપે વિરમગામ બેઠક પરથી પાટીદાર નેતા હાર્દિક પટેલને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે હાર્દિક પટેલના ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા વિરમગામમાં એક જાહેરસભાનું આયોજન કરાયું હતું. જાહેરસભામાં સ્ટેજ પરથી હાર્દિક પટેલે કહ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદી અને દેશના મક્કમ ગૃહમંત્રી અમિતભાઈ શાહે મને વિરમગામના સૌથી નાના ઉમેદવાર તરીકે જ્યારે પસંદ કર્યો, ત્યારથી મારી જવાબદારી બને છે કે આજે માત્ર હું ફોર્મ ભરવા નથી જતો, પરંતુ વિરમગામ વિધાનસભાના ખાસ કરીને માંડલ, દેત્રોજ, વિરમગામ અને નળકાંઠાના ત્રણ લાખ લોકો ફોર્મ ભરવા જઈ રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ અમદાવાદ શહેરની ૧૬ અને જિલ્લાની પાંચ મળી કુલ ૨૧ બેઠકો પૈકી ૧૨ બેઠકો પર હજુ માત્ર ૧૬ ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્રો ભર્યા હોવાની માહિતી મળે છે.