હવે કોરાનાનો પ્રકોપ ઓછા થતા નવરાત્રિની ધબધાબાટી બોલાવવા ગુજરાત તૈયાર છે. કોરોનાકાળના બે વર્ષથી ખેલૈયાઓ ગરબાની મોજ કરી શકયા ન હતા. હવે આ તૈયારીઓ વચ્ચે ગુજરાત સરકાર દ્વારા તમામ શહેરો અને જિલ્લામાં માટે આ દિવસો માટેના નિયમો જાહેર કરવામા આવ્યા છે. માહિતી મુજબ રાત્રિના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની પરમિશનનો પરિપત્ર જાહેર કરવામા આવ્યો છે.
પરિપત્ર મુજબ ખેલૈયાઓ 12ના ટકોરા સુધી જ ગરબા રમી શકશે. 12 વાગ્યે લાઉડ સ્પીકર બંધ નહીં કરે તેવા ગરબાના આયોજકો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવવાની વાત પણ કહેવામા આવી છે. આ સિવાય પાર્ટી પ્લોટ અને સોસાયટીઓમાં તેમજ શેરીઓમાં ગવાતા ગરબાનું આયોજન કરતા પહેલાં જે તે શહેર અથવા ગામના લોકોએ માઇક કે લાઉડ સ્પીકર વગાડવાની પરમિશન સ્થાનિક પોલીસ સ્ટેશનેથી લેવાની રહેશે.
રાજયપોલીસ વડા આશિષ ભાટીયાએ આ અંગે માહિતી આપતા કહ્યુ કે સમગ્ર રાજ્યમાં રાતના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની પરમિશન છે અને જે પણ 12 વાગ્યા પછી ગરબા ચાલુ રાખશે ત્યા કાયદેસરની કાર્યવાહી કરાશે. આ સાથે રાજ્યના ગૃહ વિભાગે ‘નોઈસ પોલ્યુશન (રેગ્યુલેશન અને કંટ્રોલ) રૂલ્સ, 2000’ મુજબ સને 2022ના વર્ષ માટે જન્માષ્ટમીના 1 દિવસ, નવરાત્રિના 9 દિવસ, દશેરાના 1 મળીને કુલ 11 દિવસ માટે રાત્રિના 10 થી 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર-પબ્લીક એડ્રેસ સિસ્ટમના ઉપયોગ માટે મંજૂરી આપી છે.
એ વાતનુ પણ ધ્યાન રાખવાનુ રહેશે કે હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ અને અદાલતોની આસપાસનો 100 મીટર કે તેથી વધુ વિસ્તાર સાયલન્સ એરિયા-ઝોન તરીકે ગણાશે.