ખંભાળિયા વિધાનસભાની રસાકસી ભરી ચૂંટણીમાં વટભેર વિજેતા બનેલા ભાજપનો ઉમેદવારએ આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા ઈશુદાન ગઢવી તથા પૂર્વ સાંસદ અને બે વખતના ધારાસભ્ય વિક્રમભાઈ માડમને હરાવીને વિજય મેળવતા ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં અહીંના ધારાસભ્યને કેબિનેટ વિભાગના વન પર્યાવરણ અને પ્રવાસન તેમજ કલાઈમેટ ચેન્જનો મહત્વનો વિભાગ સોંપવામાં આવ્યો છે. ત્યારે મુળુભાઈ બેરાને અનેક લોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે. તો વળી ઘણા લોકોએ માનતા પણ રાખી હતી કે મુળુભાઈ જીતી જાય.. ત્યારે આવા જ ઝારેરા ગામના સરપંચ મુકેશભાઈ વશરામભાઈ શીરે પણ મુળુભાઈના જીતવાની માનતા રાખી હતી કે શ્રી દાસારામ મંદિર ઝારેરા ખાતે મુળુભાઈ બેરાને સાકર ભારોભાર જોખવામાં આવે.
ત્યારે તારીખ 17 ડિસેમ્બરને શનિવારના રોજ ઝારેરા ગામે શ્રી દાસારામ મંદિર ઝારેરા ખાતે સરપંચ તેમજ 500 સગર સમાજના લોકો સાથે આ માનતા પુરી કરવામાં આવી હતી અને સાકર તુલા સાથે આપવામાં મીઠો આવકાર આપવામાં આવ્યો હતો. એ પંથકના સમગ્ર સગર સમાજના લોકોમાં પણ એક અનેરી લાગણી અને ઉત્સાહ જોવા મળ્યો હતો કે આપણા વિસ્તારના જ અને આપણા પોતીકા મુળુભાઈ મિનિસ્ટ્રીમાં પણ પોતાનું સ્થાન મેળવી ચૂક્યા છે. ત્યારે આ પ્રસંગે મુળુભાઈએ પણ બધાને સાંત્વના આપી હતી કે જ્યારે પણ કોઈપણ કામ માટે મારી જરૂર પડે તો મને હોંકારો કરજો હું હાજર રહીશ. આ સાથે જ તેઓએ સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરી અને કહ્યું હતું કે- ‘સંત પરમ હિતકારી’ ઝારેરાની પાવન ભૂમિ – સંત શિરોમણી દાસારામ બાપુની તપોભૂમિ પર શિશ નમાવીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા. લોકો દ્વારા સાકર તુલા સાથે આપવામાં આવેલ મીઠા આવકાર બદલ તેમનો હ્રદયપૂર્વક આભાર.