રાજસ્થાનની એક ખાનગી શાળામાં દલિત વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યાની ઘટનાના ૨૩ દિવસ પછી તેનું મૃત્યુ થયું હોવાની જાણકારી સામે આવી રહી છે. કથિત રીતે વિદ્યાર્થીએ શાળાના માટલામાંથી પાણી પીધું હોવાને કારણે માર મારવામાં આવ્યો હતો. શિક્ષકે બાળકને એટલા જાેરથી લાફો ઝીંક્યો હતો કે તેની તબિયત ખરાબ થઈ ગઈ હતી. ઘણાં દિવસો સુધી પરિવારના લોકો તેને અલગ અલગ શહેરોની હોસ્પિટલોમાં લઈને ફર્યા, આખરે શનિવારની સવારે ઈન્દ્ર કુમાર નામના આ વિદ્યાર્થીએ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. જાલોર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે આરોપી શિક્ષક વિરુદ્ધ હત્યા અને જીઝ્રજી્ એક્ટ અંતર્ગત કેસ કરવામાં આવ્યો છે. આ ઘટનાની તપાસ અધિકારી હિંમત ચરણને સોંપવામાં આવી છે. પોલીસે તપાસ શરુ કરતાની સાથે જ આરોપી સ્કૂલ ટીચરની અટકાયત કરી છે.
સાયલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર સુરાણા નિવાસી કિશોર કુમારના પુત્ર પોલારામ મેઘવાલે કેસ દાખલ કરાવ્યો છે. ફરિયાદ અનુસાર, તેમના ભાઈ દેવારામનો દીકરો ઈન્દ્રકુમાર સુરાણાની સરસ્વતી વિદ્યા મંદીરમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતો હતો. ૨૦મી જુલાઈના રોજ ઈન્દ્રકુમાર રાબેતા મુજબ શાળાએ ગયો હતો. આ દરમિયાન લગભગ સાડા દસ વાગ્યે શિક્ષક છૈલસિંહે ઈન્દ્રકુમાર સાથે મારપીટ કરી હતી. આરોપ છે કે, બાળકે માટલામાંથી પાણી પીધું હોવાને કારણે લાફો મારવામાં આવ્યો હતો.
રિપોર્ટ અનુસાર, લાફાને કારણે બાળકના જમણા કાન અને આંખ પર ઈજા થઈ હતી. કાનમાં વધારે દુઃખાવો થવાને કારણે ઈન્દ્રકુમાર શાળાની સામે પિતા દેવારામની દુકાન પર ગયો અને ઘટનાની જાણકારી આપી. દીકરાને દુખાવો વધી જતા બાગોડા, ભીનમાલ, ડીસા, મહેસાણા અને ઉદયપુરની અનેક ખાનગી હોસ્પિટલોમાં તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો. આખરે તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો. પરંતુ ૧૩મી ઓગસ્ટ શનિવારની સવારે ૧૧ વાગ્યે સારવાર દરમિયાન તેણે અંતિમ શ્વાસ લીધા હતા. પોલીસે પ્રાથમિક રિપોર્ટના આધારે શિક્ષક છૈલસિંહ વિરુદ્ધ હત્યા અને એસસીએસટી એક્ટ અંતર્ગત કેસ દાખલ કર્યો છે.