અમદાવાદ શહેરમાં સરેરાશ 8.5 ઈંચથી વધુ વરસાદ પડ્યો હોવાનું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. સૌથી વધુ પાલડીમાં 18 ઈંચ વરસાદ ખાબક્યો છે.
ઉસ્મનપુરામાં 15 ઈંચ પડ્યો તો વળી બોડકદેવમાં 13 ઈંચ વરસાદથી મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. આ સાથે જ વાત મળી રહી છે કે જોધપુર – બોપલ – મક્તમપુરામાં 12 ઈંચ વરસાદ, ગોતામાં 8 ઈંચ, ચાંદલોડિયામાં 7 ઈંચ વરસાદ પડ્યો છે અને આ કારણે વાસણા બેરેજના 5 દરવાજા 3 ફૂટ ખોલી નાખવામાં આવ્યાં છે.
સાથે જ ભારે વરસાદના પગલે આજે અમદાવાદની શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. રવિવારે સાંજે 6થી 9 વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેમાં સૌથી વધ 12 ઇંચ વરસાદ પાલડીના ટાગોર હોલ વિસ્તારમાં પડ્યો હતો.
જ્યારે બોડકદેવ, ઉસ્માનપુરા, મકતમપુરા, જોધપુરમાં આઠ ઈંચ વરસાદ પડ્યો હતો. રજા હોવાથી જે લોકો સાંજે ફરવા નીકળ્યા હતા તેમને ઘરે પહોંચવામાં ભારે મુશ્કેલી પડી હતી.
સતત વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ઊતરવામાં બેથી ત્રણ કલાકનો સમય લાગ્યો હતો. વાહનોમાં પણ પાણી ભરાઈ જતા રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. મ્યુનિ.ના અધિકારીઓ સહિતના આગેવાનો પાલડી, કંટ્રોલ રૂમ પર દોડી આવ્યા હતાં અને સમીક્ષા કરી હતી.